ગુજરાત રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલા કમોસમી વરસાદ (માવઠા) ને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લામાં આ માવઠાની સૌથી ગંભીર અસર જોવા મળી છે, જ્યાં ડાંગર ના પાકને વ્યાપક નુકસાન થયું છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં ડાંગરનો પાક ખેડૂતો માટે મુખ્ય પાક ગણાય છે. અણધાર્યા કમોસમી વરસાદને કારણે ખેતરોમાં તૈયાર થઈ ગયેલો ડાંગરનો પાક પલળી ગયો છે. ખેડૂતોની મહિનાઓની મહેનત પર પાણી ફરી વળતા તેઓ આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે.


ઓલપાડમાં કમોસમી વરસાદથી પાકને નુકસાન

ખેડૂતોની આ કપરી પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા અને તેમને સાંત્વના આપવા માટે પૂર્વ મંત્રી અને ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા. ધારાસભ્યએ ઓલપાડના સરસ ગામે ડાંગરના ખેતરોની રૂબરૂ મુલાકાત લીધી હતી અને પાકને થયેલા નુકસાનનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે ખેડૂતો સાથે મુલાકાત કરીને તેમની સમસ્યાઓ અને નુકસાનની વિગતો પણ જાણી હતી. મુકેશ પટેલે માત્ર ખેતરોની મુલાકાત જ નહીં, પરંતુ ઓલપાડ જિન મંડળીના ગોડાઉનની પણ મુલાકાત લીધી હતી, જ્યાં ડાંગરનો સંગ્રહ કરવામાં આવે છે. આ મુલાકાતનો હેતુ નુકસાનના પ્રમાણ અને સંગ્રહિત પાકની સ્થિતિ જાણવાનો હતો.

MLAએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી

આ ભયાનક નુકસાન અંગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ધારાસભ્ય મુકેશ પટેલે જણાવ્યું હતું કે સરકારી મંડળીના પ્રતિનિધિઓ, ગ્રામસેવક અને તલાટીની ઉપસ્થિતિમાં નુકસાનીનો સર્વે શરૂ કરવામાં આવશે. આ સર્વે દ્વારા નુકસાનનો ચોક્કસ અંદાજ મેળવવામાં આવશે, જેના આધારે ખેડૂતોને સહાય ચૂકવવાની પ્રક્રિયા હાથ ધરી શકાય. ઓલપાડના ખેડૂતોની મુખ્ય માંગણી છે કે રાજ્ય સરકાર તેમની આ મુશ્કેલીના સમયમાં ઝડપથી આર્થિક મદદ પૂરી પાડે, જેથી તેઓ ફરીથી પાક લેવા માટે સક્ષમ બની શકે. ધારાસભ્યએ પણ ખેડૂતોને ખાતરી આપી છે કે સરકાર પાસે વહેલી તકે વળતર મળી રહે તે માટે રજૂઆત કરવામાં આવશે.

  • Follow us on: