બનાસકાંઠા જિલ્લામાં આવેલી એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની આજે 57 મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. પાલનપુરના બાદરપુરા નજીક આવેલા બનાસ ઓઇલ મીલ ખાતે બનાસ ડેરીના ડિરેક્ટરો તેમજ હજારો પશુપાલકોની ઉપસ્થિતિમાં મળેલી આ 57 મી વાર્ષિક સાધારણ સભામાં બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ નવા ભાવ વધારાની જાહેરાત સાથે વર્ષ દરમિયાન દૂધ ક્રાંતિમાં સારું પ્રદર્શન કરનાર ટોપ ટેન મહિલાઓનું સન્માન કર્યું. નવા ભાવ વધારાની જાહેરાત થતા જ જિલ્લાના લાખો પશુપાલકોમાં ખુશીની લહેર પ્રસરી છે...
બનાસ ડેરી દ્વારા યોજાતી જનરલ વાર્ષિક સાધારણ સભા
બનાસકાંઠા જિલ્લો ખેતી અને પશુપાલનને વરેલો જિલ્લો છે. આ જિલ્લાના મોટાભાગના લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. દર વર્ષે બનાસ ડેરી દ્વારા યોજાતી જનરલ વાર્ષિક સાધારણ સભા આ વખતે પાલનપુર નજીક બાદરપુરા ઓઇલ મીલ ખાતે યોજાઈ હતી. બનાસ ડેરી દ્વારા સાધારણ સભામાં માત્ર ડિરેક્ટર મંડળ જ નહીં પરંતુ બનાસ ડેરીમાં દૂધ ભરાવનારા પશુપાલકો પણ પોતાનો મત રજૂ કરી શકે તે હેતુસર હજારો પશુપાલકોને એકત્રિત કરાતા હોય છે ત્યારે હજારો પશુપાલકોની ઉપસ્થિતિમાં મળેલી આ સાધારણ સભામાં બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતો ઠરાવ પસાર કર્યો અને ચેરમેન શંકર ચૌધરીએ કહ્યું કે અમેરિકા તેનું દૂધ અને પશુપાલનની અલગ અલગ ચીજ વસ્તુઓ ભારતમાં વેચવા માટે દબાણ કરી રહ્યું છે જો તે દૂધ ભારતમાં આવે તો ભારતનો ડેરી ઉદ્યોગ બંધ થઈ જાય, જોકે પ્રધાનમંત્રીએ દુનિયાના જગત જમાદાર સામે જુક્યા વગર ભારતના ખેડૂતો અને પશુપાલકો માટે નિર્ણય કર્યો કે અમેરિકાનું દુધ ભારતમાં નહિ આવવા દઉ... જોકે વડાપ્રધાનના આ નિર્ણયને જોતા ચેરમેન શંકર ચૌધરીએ હજારો પશુપાલકોના હાથ ઊંચા કરાવી પ્રધાનમંત્રી ના અન્ય નિર્ણય બદલ તેમનો આભાર વ્યક્ત કરાવ્યો.
જિલ્લાના લાખો પશુપાલકોમાં ખુશીની લહેર
નવા વર્ષનો ભાવ વધારો 2131 કરોડ જાહેર કરી ડેરી દ્વારા 18.32 ટકા ભાવ વધારની ચેરમેન શંકર ચૌધરીએ જાહેર કરતા જિલ્લાના લાખો પશુપાલકોમાં ખુશીની લહેર પ્રસરી છે. જોકે સાથે જ જિલ્લામાં દૂધ ક્રાંતિ માં સારું પ્રદર્શન કરનારી જિલ્લાની ટોપ ટેન મહિલાઓને સન્માનિત કરી છે..બનાસ ડેરી દ્વારા આગામી સમયમાં શરૂ થનારા અલગ અલગ પ્રકલ્પોથી ચેરમેન શંકર ચૌધરીએ પશુપાલકોને જાણ કરી હતી