ભાવનગર જિલ્લાના પાલીતાણા પંથકમાં વન્ય પ્રાણીઓનો આતંક દિનપ્રતિદિન વધી રહ્યો છે, જેના કારણે સ્થાનિક ગ્રામજનોમાં ભયનો માહોલ છે. પાલીતાણાના ગરાજીયા ગામે સીમ વિસ્તારમાં માલઢોર ચરાવી રહેલા એક નિર્દોષ પશુપાલક પર સિંહે અચાનક જીવલેણ હુમલો કરી દેતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. સિંહના આ હિંસક હુમલામાં પશુપાલક ગંભીર રીતે ઘાયલ થયા છે.
પશુપાલક પર સિંહે તરાપ મારી
પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, ગરાજીયા ગામના વતની કાળુભાઇ બોઘાભાઈ પરમાર નામના પશુપાલક રોજની જેમ પોતાના માલઢોર ચરાવવા માટે સીમમાં ગયા હતા. આ દરમિયાન અચાનક ઝાડીઓમાંથી ધસી આવેલા એક સિંહે તેમના પર તરાપ મારી દીધી હતી. સિંહે કાળુભાઈને પંજા મારતાં તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા અને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. પશુપાલકની ચીસાચીસ અને પશુઓના હોબાળાને પગલે આસપાસથી લોકો દોડી આવતા સિંહ ત્યાંથી નાસી છૂટ્યો હતો.
