કાલોલ તાલુકાના અલાલી ગામે સોમવારે સવારે નદી તરફ કુદરતી હાજતે જવા માટે નિકળેલા અને બપોર સુધી ગુમ થયેલા 35 વર્ષિય બે સંતાનોના પિતા નદી કાંઠે પાણીમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. યુવકનું નદીમાં ડુબી જતા મોત થયુ હોવાનું જાણવા મળે છે જો કે આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.


પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલ તાલુકાના અલાલી ગામના રહીશ રાજેન્દ્ર બળવંતભાઈ પરમાર (ઉ.વ. 35) સોમવારે સવારે સાડા છ વાગ્યાના અરસામાં ઘેરથી કુદરતી હાજતે જવા માટે નજીકની ગોમા નદી તરફ નિકળ્યા હતા. જે બપોર સુધી ઘેર પરત નહીં ફરતા પરિવારજનોએ ગામમાં ગયા હોવાના અનુમાને ફળિયા અને ગામમાં તપાસ કરી પરંતુ કોઈ અતોપતો લાગ્યો નહોતો. જોકે બપોરના 12:45ના અરસામાં ગોમા નદી કાંઠા વિસ્તારની ઝાડીઓમાં એક લાશ જોવા મળતા ગામલોકો ઘટના સ્થળે દોડી ગયા હતા. ગામના અનુભવી તરવૈયાઓએ પતરાંના પીપોની મદદથી બનાવેલ નાવડી મારફ્તે લાશને બહાર કાઢતાં સવારે ઘરેથી નીકળી ગયેલા રાજેન્દ્ર બળવંતભાઈ પરમારની લાશ મૃત હાલતમાં મળી આવતા આખું ગામ નદી કાંઠે ઉમટી પડયું હતું. ગામલોકોએ તાત્કાલિક અસરથી વેજલપુર પોલીસને જાણ કરીને મૃતક રાજેન્દ્ર બળવંતભાઈ પરમારની લાશને કાલોલ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે ગામલોકોના જણાવ્યા અનુસાર હાલ વરસાદી વાતાવરણમાં ગોમા નદી બે કાંઠે વહેતી હોય સંભવિતપણે વહેલી સવારે કુદરતી હાજતે જવા નીકળેલા બે સંતાનોના પિતાને શરતચૂકથી કે ગમે તે કારણોસર નદીના પાણીમાં ગરકાવ થઈને પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યું હોવાનું પ્રાથમિક તારણ કાઢયુ હતું.


  • Follow us on: