મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના રાઘવના મુવાડા પંચાયતમાં આવેલ નવા કમાલપુર ગામના તળાવમાં ચોમાસા દરમિયાન પાણીનો ભરાવો થતાં ગામ સંપર્ક વિહોણું બની જાય કેમ કે આ નાળા ઉપર આઝાદીના 78 વર્ષ બાદ પણ હજુ સુધી પુલ બન્યો નથી જેના કારણે ગ્રામજનો મગરોની વચ્ચે જીવના જોખમે 8 ફુટ ઉંડા પાણીમાંથી પસાર થવા મજબુર બને છે.અહી એક પુલ બનાવવા ગ્રામજનોની માગ છે.
કમલાપુર ગામનો મોટાભાગનો વહેવાર કોઠંબા સાથે છે અને કોઠંબા જવુ હોય તો આ તળાવમાંથી જ પસાર થવુ પડે છે એટલે દર ચોમાસે અહીંના લોકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. તંત્ર દ્વારા અહીં નાળુ તો મૂકવામાં આવ્યું પરંતુ દર ચોમાસામાં આઠથી નવ ફૂટ સુધી પાણીમાં આ નાળુ ગરકાવ થઈ જાય છે અને અહીંના લોકો મગરોની વચ્ચે પાણીમાંથી નીકળવા માટે મજબૂર બનતા હોય છે થોડા દિવસ અગાઉ ગામના એક પશુનું મગર દ્વારા મારણ કરાયુ તો એક વ્યક્તિ પસાર થતો હતો તે સમયે તેના હાથના ભાગે મગર દ્વારા હુમલો કરતા ગંભીર ઇજાઓ થવા પામી છે ત્યારે હવે ગ્રામજનો પાણીમાંથી પસાર થાય છે ત્યારે 20 થી 25 ના ટોળામાં જવાનું પસંદ કરે છે જેથી મગરના હુમલાથી બચી શકાય. બાળકો શાળા તેમજ કોલેજમાં જઈ શક્યા નથી અહીંથી પસાર કરવા માટે બાળકોને માથા ઉપર બેસાડવા પડતા હોય છે.










