પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં પ્રખ્યાત કાર્તિકી પૂર્ણિમાના (કાત્યોક) મેળાના વિધિવત પ્રારંભ અગાઉ એક મોટી દુર્ઘટના થતા-થતા ટળી છે. આગામી ૩ નવેમ્બરથી શરૂ થનારા સાત દિવસીય આ પરંપરાગત મેળાની તૈયારીઓ ચાલી રહી હતી, તે દરમિયાન આ ઘટના બની હતી.


કાર્તિકી પૂર્ણિમાના મેળાના વિધિવત પ્રારંભ

કુંવારિકા સરસ્વતી નદીના કિનારે યોજાનાર મેળા માટે ચકડોળ (રાઇડ્સ) લગાવવાની કામગીરી ચાલી રહી હતી. આ કામગીરી દરમિયાન જ ચકડોળનો એક ભાગ તૂટી પડ્યો હતો. રાઇડ્સનું ફિટિંગનું કામ કરી રહેલા બે કારીગરો આ દુર્ઘટનાનો ભોગ બન્યા હતા. મળતી માહિતી મુજબ, ચકડોળ ફિટિંગની કામગીરી દરમિયાન એક કારીગરનો પગ લપસી જતાં તે નીચે પટકાયો હતો. આ શખસ નીચે ઊભેલા અન્ય એક વ્યક્તિ પર પડતાં તેને પણ ઇજા પહોંચી હતી. ચકડોળનો મોટો ભાગ તૂટ્યો હોવા છતાં, તે સમયે મુલાકાતીઓ ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.


બંને ઇજાગ્રસ્ત કારીગરોને સારવાર 

ઘટના બાદ તાત્કાલિક બંને ઇજાગ્રસ્ત કારીગરોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સદભાગ્યે, બંનેને સામાન્ય ઇજા પહોંચી હોવાથી પ્રાથમિક સારવાર બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. જો કે, આ ઘટનાએ મેળામાં રાઇડ્સની સુરક્ષા અને ફિટિંગની કામગીરીની ગુણવત્તા પર સવાલો ઊભા કર્યા છે. મેળાના પ્રારંભ પહેલા જ આ દુર્ઘટનાએ તંત્રને સુરક્ષાના માપદંડોની ચકાસણી કરવા માટે ગંભીર ચેતવણી આપી છે.

  • Follow us on: