રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બુધવારે સિદ્ધપુર ખાતે એક કાર્યક્રમમાં પધારવાના હતા. ત્યારે પાટણ નગરપાલિકાના સ્વચ્છતા શાખાના મોટાભાગના સફાઇ કર્મચારીઓને સિદ્ધપુર ખાતે સફાઇની કામગીરીમાં મોકલવામાં આવ્યા હોય પાટણ શહેરમાં સફાઇનો અભાવ અને ગંદકીના ઢગલા જોવા મળ્યા હતા.
સફાઇ કર્મચારીઓને બહાર મોકલવામાં આવતા શહેરમાં કચરાનો કોઈપણ યોગ્ય નિકાલ થયો ન હતો. ગત સામાન્ય સભામાં શાસક પક્ષના સભ્યોએ આ બાબતે ટકોર પણ કરી હતી કે કોઈપણ કચરાના સ્ટેન્ડમાં કચરો પડતર ના રહેવો જોઈએ. તમામ કચરાનો નિકાલ થાય તેની તકેદારી રાખવી જોઈએ પરંતુ નગરપાલીકાની આવી કામગીરી સામે સવાલો પેદા થાય છે. તમામ સફાઇ કર્મચારીઓમાંથી મોટાભાગના સફાઇ કર્મચારીઓને સિધ્ધપુર ખાતે મોકલી દેવામાં આવતા શહેરમાં સફાઇનો અભાવ જોવા મળ્યો હતો. સરકારના સ્વચ્છતા પખવાડિયાના પહેલા જ દિવસે પાટણ શહેરમાં કચરાની ગંદકીના ઢગલા જોવા મળ્યા હતા તેમ કોંગ્રેસ કોર્પોરેટર ભરત ભાટીયાએ જણાવ્યું હતું.










