પાટણ શહેરમાં થોડા દિવસ અગાઉ સિદ્ધિ સરોવરમાંથી મૃત કૂતરુ અને મૃત માછલીઓના હાડપિંજર જોવા મળ્યા હતા. જે અંગોના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. ત્યારે લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તાલુકા હેલ્થ કચેરી મારફ્ત સિદ્ધિ સરોવરના મુખ્ય ફ્લ્ટિર પ્લાન્ટના સંપ સહિત ચાર સ્થળો ઉપરથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં કાળકા પપિંગ સ્ટેશનથી વિતરણ કરવામાં આવતા પાણીના સેમ્પલ લેવામાં આવતા તેમાં શંકાસ્પદ જાણાઈ આવતા ફરીથી સેમ્પલ લેવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
શહેરના સિદ્ધિ સરોવર માં થોડા દિવસ અગાઉ મૃત કૂતરું અને મૃત માછલીઓ પાણીમાં તરતા હોવાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા .જે બાબતને ધ્યાનમાં રાખીને જિલ્લા આરોગ્ય અધિકારીની સુચનાથી પાટણ તાલુકા હેલ્થ કચેરી દ્વારા નગરપાલિકા દ્વારા સિદ્ધિ સરોવર માંથી લોકોને આપવામાં આવતું પીવાનું પાણી યોગ્ય છે કે કેમ? તે બાબતે સિદ્ધિ સરોવર ખાતેના ફ્લ્ટિર પ્લાન્ટ ખાતેના સંપ તેમજ મોતીશા અને કાળકા સંપ અને ઝીંણીપોળ ખાતેથી પાણીના સેમ્પલ લઇ તેને તપાસ માટે જળ ભવન ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. જેમાં કાળકા પંપિંગ સ્ટેશનથી લેવામાં આવેલ પાણીના સેમ્પલ શંકાસ્પદ જણાઈ આવતા કાળકા પંપીંગ સ્ટેશન વિસ્તારમાં આવતા વિવિધ વિસ્તાર જેવા કે ક્રિષ્ના સોસાયટી, નીલકમલ અને કાળકા પંપીંગ સ્ટેશન ખાતેથી ફરી પાણીના સેમ્પલ લઇ જળભવન ખાતે તપાસ માટે મોકલી આપવામાં આવેલ છે. આ ઉપરાંત નગરપાલિકા દ્વારા દરેક સંપ ખાતે નિયમિત પણે કલોરિનેશન કરવામાં આવે તેવી નગરપાલિકા તંત્રને સુચના આપવામાં આવી છે.










