પાટણ શહેરમાં પવિત્ર શ્રાવણ માસમાં આવતા પાંચ તહેવારોનો ભક્તિમય માહોલમાં પ્રારંભ થયો છે. રાંધણ છઠના દિવસે શહેરની બજારોમાં શાકભાજીની ભારે ખરીદી નીકળી હતી. શાકભાજીના ભાવમાં વધારો ઝિંકાતા ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા હતા. પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં શ્રાવણ માસની ઉજવણી થઈ રહી છે. ત્યારે શ્રાવણ માસમાં આવતા તહેવારોનું પણ વિશેષ મહત્વ હોય આ તહેવારોની પણ જિલ્લાવાસીઓ દ્વારા હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવતી હોય છે. બુધવારે નાગપાચમના દિવસથી પાંચ દિવસમાં તહેવારોનો પ્રારંભ થયો છે. ગુરૂવારે રાંધણ છઠ્ઠના તહેવારની ઉજવણી થઈ રહી છે. રાંધણ છઠ્ઠના દિવસે બહેનો વિવિધ પ્રકારની વાનગીઓ બનાવે છે અને શીતળા સાતમના દિવસે ચૂલો કે ગેસ સળગાવવાનો ન હોવાના કારણે આ દિવસે ઠંડો ખોરાક ખાવાની માન્યતા હોવાના કારણે શીતળા માતાજીની પૂજા અર્ચના કરી ઠંડો ખોરાક આરોગતા હોય છે. રાંધણ છઠના દિવસે બહેનોને વિવિધ પ્રકારની રસોઈ બનાવવાની હોય પાટણ શહેરની બજારોમાં આવેલ શાકભાજીની લારીઓ ઉપર બહેનો વિવિધ પ્રકારની શાકભાજીની ખરીદી કરતા જોવા મળી હતી. રાંધણ છઠ્ઠના દિવસે બહેનો કંકોડાનું શાક, અળવાઈ, મેથીના પોતાયા અને લીલા મરચા સહિતની વાનગીઓ બનાવતી હોવાથી શાકભાજીના ભાવોમાં પણ વધારો જોવા મળ્યો હતો. કંકોડા એક કિલોના ભાવ અગાઉ રૂ. 100 હતો તે વધીને રૂ.160 થી 200 થઈ ગયો હતો. અળવાઈના પતા અને મેથી અગાઉ રૂ.50ના કિલો હતા. તેના ભાવ રૂ.70 થી 80 થઈ ગયા હતા. મરચા અગાઉ રૂ.40થી 50 હતા. તે વધીને રૂ.50 થી 60 થઈ ગયા હતા.



  • Follow us on: