સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના ગઢ આણંદમાં જ કોંગ્રેસનો રકાસ થયો છે, કોંગ્રેસ પ્રમુખના ક્ષેત્રમાં જ કોંગ્રેસના ૩૯ જેટલા ઉમેદવારો પાણીમાં બેસી ગયા છે. પ્રમુખ પોતે પણ તેમના ઉમેદવારોને સાચવી શક્યા ન હોવાનું સામે આવ્યું છે. આમ ગુજરાત કોંગ્રેસના પ્રમુખની રણનીતિનો તેમના ગઢમાં જ ફિયાસ્કો થયો છે.આણંદમાં ભાજપે ચૂંટણી પહેલાં જ જીતનું ખાતું ખોલાવ્યું છે, કારણ કે કોંગ્રેસના ઉમેદવારો પાણીમાં બેસી જતાં ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે.
ભરતસિંહ સોલંકીને ભાજપે ધૂળ ચટાવી
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીને ભાજપે તેમના ગઢમાં જ ધૂળ ચટાવી હોય તેવો ઘાટ સર્જાયો છે. એક રીતે કોંગ્રેસના ઉમેદવારોની પસંદગીને લઈને પણ સવાલો ઊઠ્યા છે, જેમાં લંગડા ઘોડા જેવા કે પછી લગ્નના ઘોડા જેવા ઉમેદવારો પસંદ કરાયા હતા. આ તરફ કોંગ્રેસનો આક્ષેપ છે કે, અમારા ઉમેદવારોને પોલીસ દ્વારા ધાકધમકી અને દબાણ સર્જવામાં આવતાં આ સ્થિતિ થઈ છે.
