આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે જામનગર વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે હેતુથી પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.
લુખ્ખા તત્વોને કડક ચેતવણી
જામનગરના પટણીવાડ સહિતના ગીચ અને સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતના કાફલાએ પગપાળા પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન પોલીસે રસ્તા પર જોવા મળતા લુખ્ખા અને આવારા તત્વોને કડક શબ્દોમાં વોર્નિંગ આપી હતી. ચૂંટણી દરમિયાન કોઈપણ પ્રકારની અઘટિત ઘટના ન બને અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે પોલીસનો મુખ્ય ઉદ્દેશ્ય છે.










