ભાજપના સાંસદ ધવલ પટેલે ધારાસભ્ય ચૈતર વસાવા અને અનંત પટેલ પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસના વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે વાપીમાં એક એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે, અમે આમ આદમી પાર્ટી અને ભાજપમાં મોટું ભંગાણ કરીશું. ભાજપમાં તો કોઈ મોટું ભંગાણ થશે નહીં પણ તેઓ આમ આદમી પાર્ટીમાં ભંગાણ પાડવાની વાત કરે છે. બીજી બાજુ ધારાસભ્ય ચૈતર વસાવાએ નાનાપૌઢામાં કોંગ્રેસના ચારસો કાર્યકર્તાઓને આમ આદમી પાર્ટીમાં જોડ્યા. અને વાંસદાના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે વારંવાર પોગ્રામ કરે છે. તેમણે એક પણ વખત ચૈતર વસાવા વિરૂદ્ધ સ્ટેટમેન્ટ નથી આપ્યું.
કોંગ્રેસ સો ટકા 2027ની વિધાનસભાની ચૂંટણી હારવાની છે
સાંસદ ધવલ પટેલે કહ્યું હતું કે, વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને એવુ પણ નથી કહ્યું કે અમારી પાર્ટીના કાર્યકર્તાઓને તમે કેમ તોડો છો. આ સાબિત કરે છે કે ચૈતર વસાવા અને વાંસદાના ધારાસભ્યની સાંઠગાંઠ છે. ભાજપનો દરવાજો તો એમની માટે બંધ જ છે કારણ કે ભાજપમાં આવા હિન્દુ વિરોધી, ભારત વિરોધી અને આદિવાસી વિરોધી નેતાઓની જગ્યા નથી. જેથી વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય માટે ભાજપના દરવાજા બંધ છે. કોંગ્રેસ સો ટકા 2027ની વિધાનસભાની ચૂંટણી હારવાની છે.
આદિવાસી સમાજ ભાજપ સાથે જોડાયેલો છે.
સાંસદ ધવલ પટેલે ઉમેર્યું હતું કે, તેઓ આમ આદમી પાર્ટીમાં કૂદવા માટે આ બધા ગતકડાં કરી રહ્યાં છે. તેઓ ક્યાંય પણ જાય તેનાથી અમને કશોય ફર્ક પડતો નથી. હું આ નિવેદન તેમની રાજનીતિને ખુલ્લી પાડવા માટે આ નિવેદન આપી રહ્યો છું. એમને આદિવાસી સાથે કોઈ લેવા દેવા નથી. તેઓ પોતાનો અંગત સ્વાર્થ અને પોતાની રાજનીતિ બચાવવા માટે આવું કરી રહ્યાં છે. આદિવાસી સમાજ ભાજપ સાથે જોડાયેલો છે.









