પોરબંદરના લોકમેળામાં બાળકોને રાઇડ્સમાં બેસવા પર પ્રતિબંધ મૂકતા બેનરોને કારણે મોટો વિવાદ ઉભો થયો છે. રાઇડ્સ સંચાલકોએ 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને રાઇડ્સમાં બેસવા દેવામાં આવશે નહીં તેવા બેનર લગાવ્યા હતા. જેના કારણે ભારે રોષ ફેલાયો હતો. આ પ્રકારના પ્રતિબંધથી બાળકો અને તેમના પરિવારોમાં નિરાશા છવાઈ ગઈ હતી, કારણ કે લોકમેળામાં બાળકો માટે મુખ્ય આકર્ષણ રાઇડ્સ જ હોય છે. આ મુદ્દો સામે આવતા વિરોધ પક્ષે લોકમેળામાં વ્યાપક ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા.


સંદેશ ન્યૂઝ દ્વારા કરાયું હતું ચેકિંગ...!

સંદેશ ન્યૂઝની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને આ મામલે અહેવાલ પ્રસારિત કરવાનું શરૂ કરતાં જ રાઇડ્સ સંચાલકોએ તાત્કાલિક અસરથી આ વિવાદાસ્પદ બેનરો હટાવી લીધા હતા. મીડિયાના દબાણ બાદ આ પગલું ભરવામાં આવ્યું હતું. સંચાલકોએ આ પ્રકારના બેનર શા માટે લગાવ્યા હતા તે અંગે કોઈ સ્પષ્ટતા આપી નથી, પરંતુ આ ઘટનાથી મેળાના સંચાલન અને સુરક્ષા વ્યવસ્થા પર અનેક સવાલો ઉભા થયા છે. વિરોધ પક્ષે આ ઘટનાને મેળાના સંચાલનમાં રહેલી બેદરકારી અને ભ્રષ્ટાચારનું ઉદાહરણ ગણાવ્યું છે.

જાહેર જગ્યાઓમાં સુરક્ષાની જવાબદારીમાં તંત્ર નિષ્ફળ

આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે કે, લોકમેળા જેવી જાહેર જગ્યાઓમાં સુરક્ષા અને વ્યવસ્થાની જવાબદારી નિભાવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. એક તરફ, બાળકોને મનોરંજનથી વંચિત રાખવાનો પ્રયાસ થઇ રહ્યો હતો, અને બીજી તરફ આ બાબત વિપક્ષને ભ્રષ્ટાચારના આક્ષેપો કરવાનો મોકો આપી રહી હતી. હવે બેનરો હટાવી લેવાયા છે પરંતુ આ સમગ્ર ઘટનાથી મેળાની પ્રતિષ્ઠાને નુકસાન થયું છે. આ મામલે તંત્ર દ્વારા તપાસ કરીને ભવિષ્યમાં આવા બનાવો ન બને તે સુનિશ્ચિત કરવું જરૂરી છે.


  • Follow us on: