રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ 163(2) ની જોગવાઈઓ હેઠળ આદેશ જારી કરી ‘નંબર પ્લેટ નહીં તો ઈંધણ નહીં’નો નિયમ અમલી બનાવાયો છે. મોટાભાગના ગુનેગારો ગુનાહિત પ્રવૃત્તિઓ માટે નંબર પ્લેટ વગરના કે ક્ષતિગ્રસ્ત નંબર પ્લેટવાળા વાહનોનો ઉપયોગ કરતા હોય છે, જેને ડામવા માટે વાહનની બંને બાજુ HSRP ન હોય તેવા વાહનોને પેટ્રોલ પંપ પર ઈંધણ ન આપવાની સખત મનાઈ ફરમાવવામાં આવી છે.
જાહેરનામાના પહેલા જ દિવસે મિશ્ર પ્રતિસાદ
પોલીસ કમિશનરના આ આદેશ બાદ શહેરના પેટ્રોલ પંપો પર આ જાહેરનામાનો મિશ્ર અમલ જોવા મળ્યો હતો. તંત્રના આકરા વલણ છતાં પહેલા દિવસે કેટલાક પેટ્રોલ પંપો પર તૂટેલી નંબર પ્લેટ અથવા નંબર પ્લેટ વિનાના વાહનોમાં સરળતાથી પેટ્રોલ-ડીઝલ ભરી આપવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. સખત સૂચનાઓ હોવા છતાં કેવા વાહનોને ઈંધણ આપવું અને કેવાને નહીં તેને લઈને કેટલાક પંપ સંચાલકોમાં અસમંજસ પણ જોવા મળી હતી. જેને કારણે નિયમના કડક પાલન સામે શરૂઆતમાં જ અમલીકરણના સવાલો ઊભા થયા છે.
