રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર અને વિજિલન્સ વિભાગ ભલે પારદર્શિતાના ગમે તેટલા દાવા કરે, પરંતુ જંગલેશ્વર વિસ્તારમાં થયેલા ડિમોલિશનના મામલામાં જે રીતે એક પછી એક બિલોની વિગતો બહાર આવી રહી છે, તે જોતા કોર્પોરેશનમાં મોટો ભ્રષ્ટાચાર ચાલતો હોવાનું સ્પષ્ટ સાબિત થાય છે. જંગલેશ્વરમાં ગેરકાયદે બાંધકામો તોડવાની જે કામગીરી થઈ હતી, તેમાં વહીવટી અધિકારીઓએ કાયદાકીય ઓથ લઈને ખાનગી એજન્સીઓ સાથે મળીને લાખો રૂપિયાના બોગસ કે અતિશયોક્તિભર્યા બિલો પાસ કરાવ્યા હોવાની ચોંકાવનારી વિગતો જાહેર થઈ છે.


22 લાખનું વીડિયોગ્રાફી બિલ જોઈને ઓડિટ વિભાગ પણ ચોંક્યો

આ વિવાદની શરૂઆત અગાઉ ડિમોલિશન સાઇટ પર હાજર સ્ટાફ અને અધિકારીઓ માટે મંગાવવામાં આવેલી મોંઘીદાટ કાજુકતરી અને પાણીના પાઉચ/બોટલોના તોતિંગ ખર્ચથી થઈ હતી. એ વિવાદ હજુ શાંત પડ્યો નથી ત્યાં જ ડિમોલિશનની વિઝ્યુઅલ રેકોર્ડિંગ અને ડ્રોન સર્વેલન્સનું બિલ અધધ ૨૨ લાખ રૂપિયા રજૂ કરવામાં આવ્યું છે. જાણકારોના મતે, કોઈપણ મોટા પ્રોજેક્ટ કે કટોકટીના સમયે પણ ડ્રોન અને વિડિયો શૂટિંગનો ખર્ચ વધીને થોડા હજારો કે એક-બે લાખ રૂપિયા સુધી હોઈ શકે છે. પરંતુ આ કેસમાં ૨૨ લાખ રૂપિયાનું બિલ બતાવીને સરકારી તિજોરીને ખુલ્લેઆમ લૂંટવામાં આવી છે.

સરકારી મશીનરી હોવા છતાં ખાનગી લહાણી કેમ?

સૌથી મોટો કાનૂની અને નૈતિક સવાલ એ ઊભો થાય છે કે રાજકોટ પોલીસ અને વહીવટી તંત્ર પાસે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર નજર રાખવા માટે પોતાના અદ્યતન સરકારી ડ્રોન કેમેરા ઉપલબ્ધ છે. જરૂર પડ્યે મનપા આ સરકારી ડ્રોનનો મફતમાં અથવા નહિવત ખર્ચે ઉપયોગ કરી શકતી હતી. આમ છતાં, મનપાના એન્જિનિયરિંગ અને સેનિટેશન વિભાગના અધિકારીઓએ કયા હેતુથી અને કોના આશીર્વાદથી સંખ્યાબંધ ખાનગી ડ્રોન અને હાઈ-ડેફિનેશન વીડિયોગ્રાફી કેમેરા ભાડે રાખ્યા? આ ઘટના સ્પષ્ટ સંકેત આપે છે કે ડિમોલિશનના નામે બિલ બનાવીને મોટો આર્થિક વહીવટ (કટકી) કરી લેવામાં આવ્યો છે. જનતા હવે સોશિયલ મીડિયા પર સવાલો ઉઠાવી રહી છે કે આ કથિત સ્કેમમાં કયા કયા ઉચ્ચ અધિકારીઓ ભાગીદાર છે અને તેમની સામે ક્યારે કડક કાનૂની પગલાં લેવામાં આવશે.

આ પણ વાંચો: Ahmedabad: કૃષ્ણનગરના મારુતિ પ્લાઝા પાસે આંગડિયા કર્મી પાસેથી 50 લાખની લૂંટ, 4 લૂંટારુઓ આંગડિયા પેઢીથી પીછો કરીને ત્રાટક્યા

  • Follow us on: