રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો અને ભુમાફિયાઓ પર કરાયેલી બુલડોઝર એક્શનની પ્રસંશા થઈ રહી હતી, પરંતુ આ કામગીરી પાછળ પ્રજાના ટેક્સના નાણાંમાંથી જે રીતે લહાણી કરવામાં આવી છે તેની વિગતો બહાર આવતા જ હવે વહીવટી મોરચે મોટો ભૂકંપ આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 1500 કાચા-પાકા દબાણો દૂર કરવાની આખી પ્રક્રિયા પાછળ અંદાજે 3 કરોડ રૂપિયાનો ખર્ચ આંકવામાં આવ્યો છે, જે સરેરાશ જોતા એક દબાણ તોડવા પાછળ હજારો રૂપિયાનો ખર્ચ દર્શાવે છે.
પાણી અને લીંબુ પાણીના નામે મોટો આંકડો
સૌથી વધુ વિવાદ મિનરલ વોટર અને રિફ્રેશમેન્ટના બિલને લઈને થઈ રહ્યો છે. શરૂઆતમાં પાણીનો ખર્ચ રૂ. 12.40 લાખ હોવાનું ચર્ચાતું હતું, જે હવે આખરી ઓડિટ સીટોમાં રૂ. 23 લાખ પર પહોંચી ગયો છે. તંત્રના બચાવ પક્ષ મુજબ, ઉનાળા કે કડક તાપની સ્થિતિ વચ્ચે મોટા પાયે તૈનાત સ્ટાફ માટે રેટ કોન્ટ્રાક્ટના 8 રૂપિયા લેખે 2,87,500 જેટલી નાની બોટલો મંગાવવી પડી હતી. આ સિવાય સ્ટાફ અને મજૂરોના ભોજન, સવાર-સાંજના નાસ્તા તથા એનર્જી માટે રાખવામાં આવેલા લીંબુ પાણી પાછળ જ રૂ. 27.20 લાખ વાપરી નાખવામાં આવ્યા છે.










