રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો અને ભુમાફિયાઓ પર કરાયેલી બુલડોઝર એક્શનની પ્રસંશા થઈ રહી હતી, પરંતુ આ કામગીરી પાછળ પ્રજાના ટેક્સના નાણાંમાંથી જે રીતે લહાણી કરવામાં આવી છે તેની વિગતો બહાર આવતા જ હવે વહીવટી મોરચે મોટો ભૂકંપ આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 1500 કાચા-પાકા દબાણો દૂર કરવાની આખી પ્રક્રિયા પાછળ અંદાજે 3 કરોડ રૂપિયાનો ખર્ચ આંકવામાં આવ્યો છે, જે સરેરાશ જોતા એક દબાણ તોડવા પાછળ હજારો રૂપિયાનો ખર્ચ દર્શાવે છે.


પાણી અને લીંબુ પાણીના નામે મોટો આંકડો

સૌથી વધુ વિવાદ મિનરલ વોટર અને રિફ્રેશમેન્ટના બિલને લઈને થઈ રહ્યો છે. શરૂઆતમાં પાણીનો ખર્ચ રૂ. 12.40 લાખ હોવાનું ચર્ચાતું હતું, જે હવે આખરી ઓડિટ સીટોમાં રૂ. 23 લાખ પર પહોંચી ગયો છે. તંત્રના બચાવ પક્ષ મુજબ, ઉનાળા કે કડક તાપની સ્થિતિ વચ્ચે મોટા પાયે તૈનાત સ્ટાફ માટે રેટ કોન્ટ્રાક્ટના 8 રૂપિયા લેખે 2,87,500 જેટલી નાની બોટલો મંગાવવી પડી હતી. આ સિવાય સ્ટાફ અને મજૂરોના ભોજન, સવાર-સાંજના નાસ્તા તથા એનર્જી માટે રાખવામાં આવેલા લીંબુ પાણી પાછળ જ રૂ. 27.20 લાખ વાપરી નાખવામાં આવ્યા છે.

મશીનરી જેટલો જ અન્ય ખર્ચ

આશ્ચર્યની વાત એ છે કે જેસીબી, ભારે ડમ્પરો અને ટ્રેક્ટરો જેવા હેવી ઇક્વિપમેન્ટ્સ પાછળ અંદાજે 1.50 કરોડ રૂપિયા ખર્ચાયા છે, જે વ્યાજબી માની શકાય. પરંતુ તેની સામે માત્ર ત્રણ-ચાર દિવસની મંડપ સર્વિસના 8.50 લાખ, લાઈટિંગના 2.50 લાખ અને સમગ્ર ડિમોલિશનની પ્રોસિડિંગ રેકોર્ડ કરવાના તેમજ ડ્રોન શૂટિંગના વીડિયોગ્રાફી એજન્સીને 24 લાખ રૂપિયા ચૂકવવાની વિગતોએ વિવાદમાં ઘી હોમ્યું છે. આ ખર્ચમાં હજુ મનપાના એક્સ્ટ્રા રોજિંદા કર્મચારીઓ (મેન પાવર) નો સેલરી લોડ ગણાયો નથી.

જંગલેશ્વર ડિમોલિશનમાં ખર્ચનો આંકડો

આ નાણાકીય વિવાદ વહીવટી ગેરરીતિ તરફ આંગળી ચિંધતો હોવાથી રાજકોટ મનપાના કમિશનર તુષાર સુમેરા આગામી દિવસોમાં પોતે જ એક કટોકટી પત્રકાર પરિષદ યોજે તેવી અટકળો તેજ બની છે. કમિશનર મીડિયા સમક્ષ આવીને આ તમામ આંકડાઓ કયા નિયમ હેઠળ અને શા માટે આટલા મોટા પાયે થયા તેની સત્તાવાર આંકડાકીય સ્પષ્ટતા રજૂ કરી શકે છે.

આ પણ વાંચો: Surat: ભેસ્તાન બ્રિજ પર માતા અને 3 વર્ષની માસૂમ દીકરીને કચડનાર ડ્રાઈવર આશિષ દુબેની ધરપકડ

  • Follow us on: