સૌરાષ્ટ્રભરના લોકો જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હોય છે તેવા રાજકોટના ઐતિહાસિક જન્માષ્ટમીના લોકમેળા અંગે કલેક્ટર ઓમપ્રકાશ દ્વારા એક પત્રકાર પરિષદ યોજીને મહત્વની વિગતો જાહેર કરવામાં આવી છે. આ વર્ષે લોકમેળાનું સત્તાવાર નામકરણ 'વિરાસત થી વિકાસ' કરવામાં આવ્યું છે. આ મેળો આગામી તારીખ 2 થી 6 સુધી રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાશે, જે દરરોજ સવારથી રાત્રિના 11:30 વાગ્યા સુધી લોકો માટે ખુલ્લો રહેશે.
સૌરાષ્ટ્રનો સૌથી મોટો જન્માષ્ટમી લોકમેળો
તાજેતરની વિવિધ ઘટનાઓને ધ્યાને રાખીને આ વખતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને સિક્યોરિટીને પ્રાથમિકતા આપવામાં આવી છે. મેળામાં આવતા લાખો મુલાકાતીઓની સુરક્ષા માટે તંત્ર દ્વારા રૂ. 12 કરોડનો ખાસ વીમો લેવામાં આવ્યો છે. આ ઉપરાંત, ભીડ પર પળેપળની નજર રાખવા માટે AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) કેમેરા અને ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. રાઈડ્સ સંચાલકો માટે કડક SOP જાહેર કરવામાં આવી છે અને ટેકનિકલ ચકાસણી બાદ જ રાઈડ્સ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે. કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા કલેક્ટર કચેરી અને પોલીસ તંત્ર દ્વારા એક સુસજ્જ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર રૂમ પણ તૈયાર કરાઈ રહ્યો છે.
