રાજકોટ લીગલ સરકિટમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જજ અને વકીલો વચ્ચેનો આંતરિક વિવાદ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. રાજકોટ બાર એસોસિએશનની મળેલી એક તાકીદની જનરલ બોર્ડની બેઠકમાં વકીલો દ્વારા બે જજના ન્યાયિક કાર્યો અને કોર્ટ પ્રોસિડિંગનો સંપૂર્ણ બહિષ્કાર કરવાનો એકમતથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયને પગલે કોર્ટ સંકુલના વહીવટી અને ન્યાયિક વાતાવરણમાં ભારે ગરમાવો આવી ગયો છે.


H.H. ગુપ્તા અને D.D. શાહના વર્તન સામે વકીલોમાં આક્રોશ

રાજકોટ બાર એસોસિએશને કોર્ટના જજ એચ.એચ. ગુપ્તા અને ડી.ડી. શાહની કોર્ટનો બહિષ્કાર જાહેર કર્યો છે. વકીલોનો આક્ષેપ છે કે આ બંને જજોનું વલણ અને વર્તન વકીલો પ્રત્યે યોગ્ય રહ્યું નથી. બાર એસોસિએશને કોર્ટ રૂમની અંદર થતી દલીલો અને દૈનિક કામકાજ દરમિયાન બંને જજોના વર્તન સામે લાંબા સમયથી ભારે નારાજગી વ્યક્ત કરી હતી. વકીલોનું કહેવું છે કે ન્યાયિક પ્રક્રિયામાં પરસ્પર સન્માન જળવાવું જરૂરી છે, જેનો અહીં અભાવ જોવા મળ્યો છે.

વારંવારની રજૂઆતો બાદ આખરે ઠરાવ પસાર

બાર એસોસિએશનના હોદ્દેદારોના જણાવ્યા અનુસાર, આ વિવાદ કંઈ રાતોરાત ઉભો થયો નથી. જજોના અયોગ્ય વર્તન અંગે અગાઉ પણ અવારનવાર રજૂઆતો કરવામાં આવી હતી અને મધ્યસ્થી દ્વારા મામલો થાળે પાડવાના પ્રયાસો થયા હતા. આમ છતાં, લાંબા સમય સુધી કોઈ સકારાત્મક નિરાકરણ કે વર્તનમાં સુધારો ન આવતાં વકીલોની ધીરજ ખૂટી હતી. આખરે જનરલ બોર્ડની બેઠકમાં ભારે ચર્ચા-વિચારણાના અંતે બંને જજોની કોર્ટના બહિષ્કારનો કડક ઠરાવ પસાર કરવામાં આવ્યો છે, જેને પગલે આગામી દિવસોમાં કોર્ટની કામગીરી પ્રભાવિત થવાની પૂરી સંભાવના છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો



  • Follow us on: