રાજકોટમાં વરસાદી તબાહી મચાવી છે. ચોમાસાની શરૂઆતમાં જ રાજકોટના રસ્તાઓ પર ખાડારાજ જોવા મળ્યું. જિલ્લામાં જૂન મહિનાના મધ્યમાં સારો વરસાદ રહ્યો. સામાન્ય વરસાદે તંત્રની પોલ ખોલી. હળવા વરસાદમાં પણ રસ્તાઓ પર ખાડા વધુ પડ્યા. જિલ્લામાં ભારે વરસાદના કારણે મવડી, કોઠારીયા, જગન્નાથ વિસ્તારના રસ્તાઓ પર ભૂવા અને ખાડા જોવા મળ્યા. ચોમાસના આરંભે જ વરસાદે મનપાની પ્રિ-મોનસૂન કામગીરીનીને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. રાજકોટના રસ્તાઓ પર ખાડારાજ મામલે મેયરનું નિવેદન સામે આવ્યું છે.
રસ્તાઓ પર ખાડારાજથી જનતા ત્રસ્ત
શહેરના ત્રણે ઝોનમાં ખાડા રાજથી લોકો ત્રસ્ત થયા છે. મવડી, કોઠારીયા, જગન્નાથ વિસ્તારમાં ખાડારાજના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે દર વર્ષે આ રોડ બનાવવા કરોડોનો ખર્ચ થાય છે. નજીવા વરસાદમાં રોડ પર ખાડા પડી જાય છે તે તો તંત્ર શું ધૂળ પ્રિ-મોનસૂન કામગીરી કરે છે. કામગીરીના નામે પ્રજાના પૈસાનું જ આંધણ થાય છે. દરવર્ષે વરસાદ પડે એટલે રોડ રસ્તા તૂટે અને પછી કામગીરી કરવાને ફરી પૈસાના ધૂમાડો.
ખાડારાજ મામલે મેયરનુંં નિવેદન
રસ્તાઓ પર ખાડારાજ મામલે મેયરે નિવેદન આપતા જણાવ્યું કે વરસાદમાં ડામરનું કામ અટકાવી દેવાની સૂચના આપી દેવામાં આવી છે. નબળા કામ અંગે જવાબદાર સામે પગલા લેવાશે. રસ્તાઓના કામને લઇને યોગ્ય કામગીરી કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા ખાડા પૂરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. ચોમાસું શરૂ થઈ ગયું હોવાથી હવે નવા ડામર કામ નહી કરવામાં આવે. જગન્નાથના ખાડાનું પુરાણ કરવા મોરમ નાખવામાં આવી છે. દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચી કોર્પોરેશન ખાડા દૂર કરી રીપેરીંગ કરાવે છે.









