સૌરાષ્ટ્રના સૌથી મોટા અને લોકપ્રિય રાજકોટ લોકમેળાને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ વર્ષે પણ CM ના હસ્તે લોકમેળાને ખુલ્લો મૂકવામાં આવે તેવી શક્યતા છે. પરંપરાગત રીતે રાંધણ છઠ્ઠના શુભ દિવસે આ ભવ્ય લોકમેળો જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે.

લોકમેળામાં ખાસ પ્રકારનું આયોજન

મેળામાં અવરનારા લાખો લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વ્યાપક અને ખાસ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રાપ્ત માહિતી અનુસાર, મેળા પરિસરમાં 4 કંટ્રોલરૂમ સ્થાપિત કરવામાં આવશે અને 24 વોચ ટાવર બનાવવામાં આવશે, જેના પરથી સમગ્ર મેળા પર બાજ નજર રાખવામાં આવશે. સુરક્ષા વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા માટે 500 થી વધુ પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવશે. આ ઉપરાંત, મેળામાં પ્રવેશ અને બહાર નીકળવા માટે સુવ્યવસ્થિત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં ચાર ગેટ પર પ્રવેશ અને ચાર ગેટ પર બહાર નીકળવાની વ્યવસ્થા રહેશે.

ગુટખા, તમાકુ અને સિગારેટના વેચાણ પર પ્રતિબંધ

મહત્વનું છે કે, લોકમેળામાં સ્વચ્છતા અને જાહેર આરોગ્ય પ્રાધાન્ય આપતા ગુટખા, તમાકુ અને સિગારેટના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તંત્ર દ્વારા લેવાયેલા આ નિર્ણયો મેળાને વધુ સુરક્ષિત, સ્વચ્છ અને કુટુંબલક્ષી બનાવવામાં મદદરૂપ થશે. રાજકોટનો આ લોકમેળો દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખો લોકોને આકર્ષિત કરશે અને ઉત્સાહભેર ઉજવાશે તેવી અપેક્ષા છે.

  • Follow us on: