રાજકોટ શહેર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ (જન્માષ્ટમી) ની અત્યંત હર્ષોલ્લાસ અને ભક્તિમય વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. નંદઘેર આનંદ ભયો જય કન્હૈયા લાલ કી ના નાદ સાથે સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું. વિવિધ વિસ્તારોમાં ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
મઘરવાડા ગામમાં મટુકી ફોડ મહોત્સવ યોજાયો
રાજકોટ તાલુકાના મઘરવાડા ગામમાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે વિશેષ મટુકી ફોડ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામના નાના-મોટા સૌ કોઈ આ ઉજવણીમાં ઉત્સાહભેર જોડાયા હતા. કૃષ્ણ જન્મના વધામણાં કરવા માટે ગામલોકોએ ગોવિંદા મંડળીઓ રચીને પરંપરાગત શૈલીમાં માખણ ભરેલી મટુકી ફોડીને તહેવારની ધામધૂમથી ઉજવણી કરી હતી.
