રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ આજે અત્યંત આક્રમક અને તોફાની બની રહ્યું હતું. મનપા કેમ્પસમાં જનરલ બોર્ડની બેઠક ચાલી રહી હતી ત્યારે શહેર કોંગ્રેસ દ્વારા વિવિધ લોકપ્રશ્નો અને ભ્રષ્ટાચારના મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓએ બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી મેયર ઓફિસનો ઘેરાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ કાફલા અને કોંગ્રેસના આગેવાનો વચ્ચે ભારે ઘર્ષણ અને તંગદિલી સર્જાઈ હતી. પોલીસે કડક વલણ અપનાવીને કોંગ્રેસના આગેવાનોની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી.
જંગલેશ્વર ડિમોલેશનમાં SITની તપાસ સામે ઉઠ્યા સવાલો
કોંગ્રેસના વિરોધ પ્રદર્શનમાં મુખ્યત્વે જંગલેશ્વર વિસ્તારમાં કરવામાં આવેલા ડિમોલેશનના બિલમાં થયેલા મોટાપાયે ભ્રષ્ટાચારનો મુદ્દો ગુંજ્યો હતો. કોંગ્રેસ આગેવાનોએ ગંભીર આરોપ લગાવ્યો હતો કે ઘટનાના 50થી વધુ દિવસો વીતી ગયા હોવા છતાં એસઆઈટી (SIT) ની તપાસના નામે માત્ર ડીંડક ચલાવવામાં આવી રહ્યું છે અને દોષિતો સામે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. આ ઉપરાંત, શહેરમાં ડિમોલેશન થયેલા વિસ્તારોમાં હજુ સુધી કોઈ ડેવલપમેન્ટ થયું નથી અને અસરગ્રસ્તોને રઝળતા મૂકી દેવાયા હોવાનો આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
