રાજકોટના યાત્રિકો અને સ્થાનિક રહીશો માટે એક મોટા અને આનંદના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી 'અમૃત ભારત સ્ટેશન યોજના' અંતર્ગત રાજકોટના ઐતિહાસિક ભક્તિનગર રેલવે સ્ટેશનનું ભવ્ય નવીનીકરણ કરવામાં આવ્યું છે. રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોની આધુનિક સુવિધાઓને ધ્યાનમાં રાખીને સમગ્ર સ્ટેશનનો નવો લુક તૈયાર કરવામાં આવ્યો છે, જેનાથી આગામી સમયમાં મુસાફરોનો પ્રવાસ વધુ સુગમ અને આરામદાયક બનશે.
પીએમ મોદી વર્ચ્યુઅલી લોકાર્પણ કરશે
આ આધુનિક અને નવીનીકૃત ભક્તિનગર રેલવે સ્ટેશનનું ભવ્ય લોકાર્પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી (ઓનલાઈન) કરવામાં આવશે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે ભક્તિનગર રેલવે સ્ટેશન ખાતે યોજાનારા સ્થાનિક કાર્યક્રમમાં સરકારના મંત્રી ત્રિકમભાઈ છાંગા ખાસ ઉપસ્થિત રહેશે. પીએમ મોદીના હસ્તે લોકાર્પણ થવા જઈ રહ્યું હોવાથી રેલવે વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા કાર્યક્રમની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
