પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે રાજકોટના પ્રસિદ્ધ રામનાથ મહાદેવ મંદિરમાં દર્શનાર્થીઓની ભારે ભીડ ઉમટી રહી છે. આ ભીડનો ગેરલાભ ઉઠાવીને ગત રાત્રે એક શખ્સ ચોરી કરવાના ઇરાદે મંદિરના પટાંગણમાં ઘૂસી આવ્યો હતો. જોકે, તેની શંકાસ્પદ હિલચાલ અને ચોરી કરવાના પ્રયાસો દરમિયાન જ તે મંદિરમાં હાજર લોકોની નજરે ચડી ગયો હતો અને રંગેહાથ ઝડપાઈ ગયો હતો.
ચોર પકડાતા જ ભક્તોએ કાયદો હાથમાં લઈ મેથીપાક ચખાડ્યો
પવિત્ર શ્રાવણ મહિનામાં મંદિરમાં ચોરી કરવાના ઇરાદે આવેલ આ શખ્સને ઝડપી પાડ્યા બાદ ત્યાં હાજર લોકો અને ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. રોષે ભરાયેલા લોકોએ પોલીસને જાણ કરવાને બદલે કાયદો પોતાના હાથમાં લઈને આ ચોરને બરાબરનો લમધાર્યો હતો. લોકોએ તેને પકડીને ઢોર માર માર્યો હોવાની ઘટના સામે આવી છે, જેના કારણે મંદિર પરિસરમાં થોડા સમય માટે દોડધામ મચી ગઈ હતી.
