રાજકોટ શહેરમાં દિન-પ્રતિદિન વધતી ટ્રાફિકની જટિલ સમસ્યાના કાયમી ઉકેલ માટે મહાનગરપાલિકા દ્વારા એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. તંત્ર દ્વારા શહેરના મુખ્ય 24 જેટલા રાજમાર્ગોને સંપૂર્ણપણે 'હોકર્સ ફ્રી' જાહેર કરવાની ગંભીર તૈયારીઓ હાથ ધરાઈ છે. રસ્તાઓ ઉપર ખડકાયેલા રહેતા રેકડી, કેબિન અને અન્ય ગેરકાયદેસર દબાણો સામે આગામી દિવસોમાં અત્યંત કડક ઝુંબેશ ચલાવવામાં આવશે. આ વ્યવસ્થાને સફળ બનાવવા માટે મનપા દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓની જવાબદારી પણ ફિક્સ કરવામાં આવશે, જેથી રસ્તાઓ પર ફરીથી દબાણ ન થાય.

ત્રણ ઝોનમાં અલાયદી વ્યવસ્થા અને નવા હોકર્સ ઝોન

ટ્રાફિકનું સુચારુ સંચાલન થાય અને ફેરિયાઓની રોજીરોટી પણ ન છીનવાય તે હેતુથી તંત્ર દ્વારા શહેરના ત્રણેય ઝોનમાં અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. જેના ભાગરૂપે જામનગર રોડ, યુનિવર્સિટી રોડ અને મોરબી રોડ જેવા મુખ્ય વિસ્તારોમાં ખાસ નવા હોકર્સ ઝોન તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત, શહેરમાં દર સપ્તાહે ભરાતી સાપ્તાહિક બજારોને કારણે થતા ટ્રાફિક જામને નિવારવા માટે પણ વિશેષ જગ્યાઓ ફાળવીને વ્યવસ્થિત આયોજન કરવામાં આવશે.

નવા હોકર્સ ઝોનમાં નિયમો કડક

નવા આયોજિત થઈ રહેલા હોકર્સ ઝોન માટે તંત્ર દ્વારા ચોક્કસ નિયમાવલી તૈયાર કરવામાં આવી છે. આ નવા હોકર્સ ઝોનમાં સ્વચ્છતા અને શિસ્ત જાળવી રાખવા માટે ચા-પાણીની લારીઓ તેમજ નોનવેજનું વેચાણ કરતા ફેરિયાઓ માટે 'નો એન્ટ્રી' ફરમાન જારી કરવામાં આવ્યું છે. આ પગલાથી રાજમાર્ગો ખુલ્લા અને સુરક્ષિત બનશે તેમજ શહેરીજનોને વાહન ચલાવવામાં અને પાકિંગમાં મોટી રાહત મળશે.

આ પણ વાંચો : Navsariમાં ફૂડ વિભાગનો મોટો સપાટો, અખાદ્ય ખોરાક અને ગંદકી બદલ 4 હોટલો સીલ