રાજકોટ શહેરમાં વાસી, મિલાવટયુક્ત અને ગુણવત્તા વગરની ખાણી-પીણી વેચતા તત્વો સામે રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે ઓપરેશન ક્લીન શરૂ કર્યું છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં પાણીજન્ય અને ખોરાકજન્ય રોગચાળો ન ફેલાય તે માટે મનપાની આરોગ્ય શાખાના ડેપ્યુટી કમિશનરના માર્ગદર્શન હેઠળ ફૂડ સેફ્ટી ઓફિસર્સની વિવિધ ટીમો એક્શનમાં આવી છે. આ ટીમોએ શહેરના પોશ ગણાતા એસ્ટ્રોન ચોક વિસ્તારમાં આવેલી વિરમણી રેસ્ટોરન્ટમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન રેસ્ટોરન્ટના કિચન (રસોડા) માં ભારે ગંદકી, વાસી ગ્રેવી, અસ્વચ્છ વાસણો અને નિયત માપદંડ વગરનો કલરયુક્ત ખોરાક મળી આવ્યો હતો. વારંવારની મૌખિક સૂચનાઓ છતાં નિયમોનું પાલન ન કરવા બદલ તંત્રએ આ રેસ્ટોરન્ટને તાત્કાલિક અસરથી સીલ કરી દીધી છે.
218 કિલો વાસી ખોરાકનો નાશ અને દૂધનું ચેકિંગ
આ આખી ડ્રાઇવ દરમિયાન ટીમોએ નાનામવા રોડ, કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ અને ગોંડલ રોડ સહિતના વિસ્તારોમાં આવેલી કુલ ૬૬ નાની-મોટી હોટલો, રેસ્ટોરન્ટ્સ, ફાસ્ટ ફૂડ જોઈન્ટ્સ અને લારીઓ પર સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ ચેકિંગ દરમિયાન માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક એવો કુલ 218 કિલોગ્રામ સડેલો લોટ, વાસી શાકભાજી, એક્સપાયરી ડેટ વગરની સોસ અને અખાદ્ય માવાની ચીજો મળી આવતા તેનો મનપાના ડમ્પિંગ યાર્ડ ખાતે નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, શહેરીજનો શુદ્ધ દૂધ મેળવી શકે તે હેતુથી ફૂડ વિભાગે અલગ-અલગ ડેરીઓ અને દૂધના પ્રોસેસિંગ યુનિટોમાં દરોડા પાડીને પ્યોરિટી ટેસ્ટ માટે દૂધના 16 સત્તાવાર નમૂના લીધા છે, જેને પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
