શહેરના નવાગામ વિસ્તારમાં આવેલી શક્તિ સોસાયટીની શેરી નંબર 6 માંથી એક અત્યંત હૃદયદ્રાવક અને કરુણ ઘટના સામે આવી છે, જ્યાં એક માતાએ પોતાની બે માસૂમ દીકરીઓને ગળેફાંસો આપી મોતને ઘાટ ઉતારી દીધી અને ત્યારબાદ પોતે પણ આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.


રાજકોટના નવાગામ વિસ્તારમાં કરુણ ઘટના

મળતી માહિતી મુજબ, 32 વર્ષીય અસ્મિતાબેન જયેશભાઈ સોલંકીએ પોતાની 7 વર્ષની દીકરી પ્રિયાંશી અને 5 વર્ષની દીકરી હર્ષિતાને નાયલોનની દોરી વડે ગળે ટૂંપો આપી હત્યા નીપજાવી હતી. આ ભયાનક કૃત્ય કર્યા બાદ અસ્મિતાબેને પણ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું.એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોતથી આસપાસના લોકોના ટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા અને ગમગીની છવાઈ ગઈ હતી. બનાવની જાણ થતાં જ પોલીસ સ્ટાફ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

બન્ને દીકરીઓની હત્યા કર્યા બાદ માતાનો આપઘાત

પોલીસની પ્રાથમિક દ્રષ્ટિએ આ મામલો હત્યા અને સામૂહિક આપઘાતનો જણાઈ રહ્યો છે, પરંતુ આ સામૂહિક આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ પણ અકબંધ છે. પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ (પીએમ) માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા મૃતક અસ્મિતાબેનના પતિ જયેશભાઈ સહિત સંબંધીઓના નિવેદનો લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત, અસ્મિતાબેન દ્વારા લખવામાં આવેલી કોઈપણ સુસાઈડ નોટ અથવા અન્ય કોઈ પુરાવા મળે છે કે કેમ, તે દિશામાં પણ પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. આ કરુણ ઘટનાથી નવાગામ વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

  • Follow us on: