રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિકાંડને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. સમગ્ર ગુજરાતને હચમચાવનાર આ ગોઝારા અગ્નિકાંડ બાદ ઝડપાયેલા તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર (TPO) મનસુખ સાગઠિયાને ગુજરાત હાઇકોર્ટ તરફથી વધુ એક કેસમાં મોટી રાહત મળી છે.
અપ્રમાણસર મિલકત કેસમાં જામીન મંજૂર
હાઇકોર્ટે TPO મનસુખ સાગઠિયાને અપ્રમાણસર મિલકત (Disproportionate Assets)ના કેસમાં જામીન મંજૂર કર્યા છે. આ સાથે દિવાળીના તહેવાર પૂર્વે તેમને મોટી રાહત મળી છે. ત્રણ કેસમાં મળ્યા જામીન, મનસુખ સાગઠિયા સામે મુખ્યત્વે ત્રણ ગંભીર કેસ નોંધાયા હતા, જેમાં તેમને હવે જામીન મળી ચૂક્યા છે. TRP ગેમ ઝોન અગ્નિકાંડ કેસ: જેમાં તેમને અગાઉ જ જામીન મળી ચૂક્યા છે. ખોટી મિનિટ્સ બુક કેસ: આ કેસમાં પણ તેમને અગાઉ જામીન મળી ચૂક્યા છે. અપ્રમાણસર મિલકત કેસ, આ કેસમાં તેમને હવે હાઇકોર્ટે જામીન આપ્યા છે.
અગ્નિકાંડની વિગતો
નોંધનીય છે કે, રાજકોટના નાના મવા રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં ગત તા. 25 મે, 2024 ના રોજ ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આ ગોઝારા અગ્નિકાંડમાં નાના બાળકો અને ગેમ ઝોનના કર્મચારીઓ સહિત કુલ 27 લોકોના કરૂણ મોત નીપજ્યા હતા. આ ઘટના બાદ પોલીસે તપાસના અંતે મનસુખ સાગઠિયા સહિત કુલ 15 આરોપીઓની ધરપકડ કરી હતી.