રાજકોટ મહાનગરપાલિકા (RMC)નું તંત્ર ભ્રષ્ટાચારને લઈને વારંવાર બદનામ થતું રહે છે, ત્યારે મહાપાલિકાના આવાસ યોજના વિભાગે એક પ્રશંસનીય અને અનોખી પહેલ કરી છે. આવાસ યોજનાના મેનેજરે તેમના વિભાગમાં જ ભ્રષ્ટાચાર વિરુદ્ધ લોકોને જાગૃત કરવા માટે બેનરો લગાવ્યા છે.


લાંચ ન આપવા લોકોને કરાયા જાગૃત

આવાસ યોજના મેનેજર દ્વારા લગાવવામાં આવેલા આ પોસ્ટરોનો હેતુ સ્પષ્ટ છે: લોકોને લાંચ આપવા અંગે જાગૃત કરવા. ગરીબ અને મધ્યમવર્ગીય લાભાર્થીઓ કે જેઓ પોતાનું 'ઘરનું ઘર' મેળવવા માટે આવાસ યોજનાના ચક્કરમાં ફસાય છે, તેઓ ઘણીવાર લાંચ આપવા કે લેભાગુ તત્વોના ચક્કરમાં ફસાઈ જાય છે. આ પરિસ્થિતિને ટાળવા માટે, આવાસ યોજનાના અધિકારીએ સરકારી તંત્રના ભ્રષ્ટાચાર અને બહારના લેભાગુઓ સામે નાગરિકોને સ્વયં જાગૃત થવા અને અન્યોને જાગૃત કરવા માટે આ પહેલ કરી છે.

અન્ય વિભાગો માટે ઉદાહરણરૂપ પહેલ

મનપાના એક વિભાગ દ્વારા જ આ રીતે ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર સામે ચેતવણી આપતા પોસ્ટરો લગાવવાની ઘટના અસામાન્ય છે. આવાસ યોજના વિભાગની આ પહેલ અન્ય વિભાગો માટે પણ એક ઉદાહરણરૂપ સાબિત થશે, જ્યાં ભ્રષ્ટાચારની ફરિયાદો અવારનવાર આવતી હોય છે. આ પહેલ દર્શાવે છે કે તંત્રમાં રહેલા કેટલાક અધિકારીઓ ભ્રષ્ટ પ્રણાલીને બદલવા માટે ગંભીર છે અને તે દિશામાં નક્કર પગલાં લઈ રહ્યા છે.

  • Follow us on: