બોટાદ જિલ્લાના હડદડ ખાતે કડદા પ્રથાના વિરોધમાં યોજાયેલ ખેડૂત આંદોલન બાદ આપ દ્વારા સરદાર પટેલ જયંતીના દિવસે સાયલાના સુદામડા નજીક આવેલા વાંટાવચ્છના બોર્ડ પાસે કિસાન મહાપંચાયતના કરેલા આયોજનમાં હજારો ખેડૂતો જોડાયા હતા. આ સંમેલનમાં પાર્ટીના રાષ્ટ્રીય તેમજ ગુજરાતના અગ્રણી નેતાઓ દ્વારા સરકારની ખેડૂત વિરોધી નીતિરીતિ સામે આકરા પ્રહારો કરતા આગામી 2027માં ખેડૂતોની સરકાર બનાવવાનું આહવાન કરતા ચૂંટણીનો શંખનાદ ફુંકી દીધો હતો.
સુદામડા પાસે યોજાયેલ આ ખેડૂત મહા પંચાયતમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, વિધાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સહિતના આગેવાનો દ્વારા વર્તમાન સમયમાં ખેડૂતોને કડદા સહિતના પ્રશ્નોને પડી રહેલી મુશ્કેલીઓ બાબતે સરકાર બેજવાબદાર બનવા સાથે ખેડૂતો પર અત્યાચાર દમન કરી રહી હોવાનો આક્ષેપ કરાયો હતો. કાર્યક્રમ માટે ગુજરાત પ્રવાસે આવેલા અરવિંદ કેજરીવાલ તથા પંજાબના મુખ્યમંત્રી માટે ખાસ હેલિપેડ બનાવાયું હતું. પરંતુ વાતાવરણ ખરાબ હોવાથી તેઓ રાજકોટથી રોડ માર્ગે કારમાં આવ્યા હતા. સંમેલનમાં ખેડૂતોની વિશાળ હાજરી વચ્ચે ગુજરાતમાં સતાધારી પક્ષ માટે આમ આદમી પાર્ટીએ પડકાર ફેક્યો હોય તેમ સ્થાનિક સાથે આજુ બાજુના જિલ્લા, તાલુકાઓમાંથી આવેલી મબલક માનવ મેદની આગામી સમયમાં સક્ષમ વિપક્ષ બનીને ઉભરી રહી હોય તેવું દૃશ્ય જોવા મળ્યું હતું. સંમેલનના આયોજકોને માવઠાની ચિંતા હતી. પરંતુ વાતાવરણ સભા પૂરી થઇ ત્યાં સુધી જળવાઈ રહેતા તમામ નેતૃત્વ દ્વારા આવેલા ખેડૂતોનો આભાર વ્યક્ત કરાયો હતો. બોટાદના હડદડ ખાતેના કેસમાં હાલ જેલમાં રહેલા ખેડૂતોના પરિવારોની ઉપસ્થિતિએ ખાસ ધ્યાન ખેંચ્યું હતું તેમજ સંમેલનમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે સુરેન્દ્રનગર સહિત અન્ય જિલ્લામાંથી આવેલા પોલીસના કાફ્લા વચ્ચે કોઈ જ અનિચ્છનીય બનાવ ના બનતા તંત્રે પણ રાહતનો શ્વાસ લીધો હતો.










