સુરત શહેરમાં હાલના ભારે વરસાદને પગલે રોડ-રસ્તા પર ભુવા પડવાની અને રસ્તા બેસી જવાની સમસ્યા સામે આવી હતી, જે અંગે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) ના એડિશનલ સિટી ઇજનેર એમ.ડી. ચાવડાએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે માહિતી આપી હતી કે, સતત વરસાદને કારણે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં કુલ ૨૪ જેટલા સ્થળોએ રસ્તા બેસી ગયા હતા.

તાત્કાલિક અસરથી કામગીરી શરૂ

આ સમસ્યાને ધ્યાનમાં રાખીને SMC ના તમામ ઝોનમાં તાત્કાલિક અસરથી કામગીરી શરૂ કરવામાં આવી હતી. પાલિકાની ટીમોએ ત્વરિત કાર્યવાહી કરીને આ રસ્તાઓને માત્ર ૪ થી ૫ કલાકના ટૂંકા ગાળામાં જ રિપેર કરીને વાહનવ્યવહાર માટે ફરી પૂર્વવત કરી દીધા છે. હાલની સ્થિતિ અંગે તેમણે સ્પષ્ટતા કરી હતી કે, શહેરમાં અત્યારે કોઈ પણ જગ્યાએ રિપેરિંગની કામગીરી બાકી નથી.

રોડ-રસ્તાની ગુણવત્તા પર સતત દેખરેખ

વધુમાં, રસ્તા બેસી જવાની આ ઘટનાઓને SMC એ ગંભીરતાથી લીધી છે. આ માટે જવાબદાર એજન્સીઓ અને સંબંધિત અધિકારીઓને નોટિસ ફટકારીને ખુલાસો માંગવામાં આવ્યો છે. ભવિષ્યમાં આવી સ્થિતિનું નિર્માણ ન થાય તે માટે કામગીરીમાં વધુ સતર્કતા રાખવા અને યોગ્ય આયોજન કરવા માટે તમામ વિભાગોને કડક સૂચના આપવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા નાગરિકોની સુવિધા અને સુરક્ષા માટે રોડ-રસ્તાની ગુણવત્તા પર સતત દેખરેખ રાખી રહી છે.


આ પણ વાંચોઃ Godhraના ટીમ્બા પાસે ભયાનક ગુંડાગર્દી! યુવક બેભાન થાય ત્યાં સુધી તૂટી પડ્યા હુમલાખોરો