મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને ગુજરાતમાં એનાલોગ પનીરના વેચાણ અને ઉત્પાદન પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.ગુજરાતમાં નાના મોટા શહેરોમાં વેચાઈ રહેલા નકલી, પનીર, ઘી, ચીઝ અને તેલ જેવા ખાદ્ય પદાર્થો સામે ફૂડ વિભાગની કાર્યવાહી યથાવત છે. તેવામાં આગામી સમયમાં આવી રહેલા તહેવારો પહેલા જ તંત્ર દ્વારા માવાના વેચાણ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.રાજ્યમાં છેલ્લાં કેટલાક વર્ષમાં પકડાયેલા માવામાંથી મિલ્ક પાવડરની સાથે પામ ઓઈલ, વેજિટેબલ ઓઈલ અને કલરની પણ હાજરી મળી છે તેમ છતાં રાજ્યમાં આજે પણ ભેળસેળયુક્ત માવાની મીઠાઈનો બેરોકટોક વેપલો થઈ રહ્યો છે. 

સુરતમાં અખાદ્ય માવો અને નકલી મીઠાઈ ઝડપાઈ

તહેવારોની મોસમ નજીક આવતાં જ સુરતમાં નકલી અને અખાધ્ય ખાદ્યપદાર્થોનું વેચાણ કરતા તત્વો સક્રિય થઈ ગયા છે.રક્ષાબંધનના પવિત્ર પર્વ પહેલાં જ સુરતમાં અખાધ્ય માવો અને તેમાંથી તૈયાર કરાયેલી મીઠાઈઓનો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે.સુરતના સરથાણા વિસ્તારમાં ઝોન-1 LCB, સરથાણા પોલીસ અને ફૂડ સેફ્ટી ઓફિસરની ટીમે સંયુક્ત દરોડો પાડી આ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.પોલીસ અને ખાદ્ય વિભાગની ટીમે સરથાણા સ્થિત મહાકાલ કેટરર્સ & સ્વીટ નામના શેડમાં છાપો માર્યો હતો.દરોડા દરમિયાન સ્થળ પરથી આશરે 723 કિલોગ્રામ જેટલો અખાધ્ય માવો તેમજ વિવિધ પ્રકારની નકલી મીઠાઈઓનો જથ્થો મળી આવ્યો હતો. 

મુદ્દામાલની કુલ કિંમત રૂ.1,42,500 અંકાય છે

આ જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત રૂ.1,42,500 અંકાય છે.લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા આ તમામ જથ્થાને કબ્જે કરી તેનો નાશ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.આ મામલે પોલીસે મૂળ જૂનાગઢના દાત્રાણા ગામના વતની અને હાલ સુરતના લસકાણા ખાતે રહેતા ભાવેશભાઈ છગનભાઈ વઘાસીયા નામના શખ્સની ધરપકડ કરી છે.સુરત પોલીસના DCP આલોક કુમારે જણાવ્યા અનુસાર,આ મામલે પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે. તહેવારોમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ખીલવાડ કરનારા વેપારીઓ સામે તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે.

આ પણ વાંચોઃ Sandesh Digital Explainer: તહેવારો ટાણે ગુજરાતમાં અસલી સાથે નકલી માવાનો કરોડોનો વેપલો, સરકાર ક્યારે એક્શનમાં આવશે?