સુરત કલેક્ટર કચેરી અવારનવાર જમીન સુધારણા, પ્રીમિયમ અને મિલકતના વિવાદોને લઈને ચર્ચામાં રહે છે, પરંતુ આ વખતે અડાજણ મામલતદારની એક લાઈવ કાર્યવાહીએ સરકારી તંત્રની શુદ્ધતા સામે મોટા સવાલો ઊભા કર્યા છે. સુરતના અડાજણ વિસ્તારમાં કરોડો રૂપિયાની કિંમતી જમીનનો કબજો ખાલી કરાવવા માટે મામલતદાર દ્વારા જમીનધારકોને સત્તાવાર નોટિસ મોકલવામાં આવી હતી. આ નોટિસ બહાર આવતા જ સુરતના રિયલ એસ્ટેટ અને મહેસૂલ બાર એસોસિએશનમાં હોબાળો મચી ગયો છે.
કાયદાકીય જોગવાઈનો ખુલ્લેઆમ ભંગ
નિયમ અનુસાર, જ્યારે કોઈપણ વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ (TP) સ્કીમ અમલમાં આવે છે, ત્યારે તે સ્કીમ સંપૂર્ણપણે ફાઇનલ (મંજૂર) થયા બાદ જ સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાનૂની પ્રોસેસ કરીને જગ્યાનો કબજો મેળવવાની સત્તાવાર લાઈવ કાર્યવાહી કરવામાં આવતી હોય છે. પરંતુ અડાજણ મામલતદારે કયા દબાણ હેઠળ કે કઈ લાલચમાં આવીને આ ટીપી સ્કીમ હજુ પ્રિલિમિનરી (પ્રાથમિક) લેવલ પર હોવા છતાં જગ્યા ખાલી કરવાનો હુકમ કર્યો, તે સૌથી મોટો રહસ્યમય સવાલ છે. જમીન માલિકોનો આક્ષેપ છે કે આ સીધેસીધો સત્તાનો દુરુપયોગ છે અને ભૂતકાળના નાસિર નગર કાંડની જેમ જ જમીન પચાવી પાડવાનું મોટું કૌભાંડ છે.










