સુરત શહેરના લાખો વાહનચાલકો માટે આખરે રાહતના સમાચાર આવ્યા છે. તાપી નદી પર બનેલો મહત્વનો ગણાતો વિયર કમ કોઝવે આશરે 145 દિવસના લાંબા સમયગાળા બાદ આજે ફરી એકવાર વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે.


તાપી નદી પરનો કોઝવે ખુલ્લો મુકાયો

ચોમાસાની ઋતુમાં ઉકાઇ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવતાં કોઝવેની સપાટી પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી, જેના કારણે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સલામતીના ભાગરૂપે તેને વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયો હતો.હવે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાનું બંધ થતાં અને નદીની સપાટી નીચે જતાં, આ કોઝવેને ફરીથી ખુલ્લો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કોઝવે કતારગામ અને રાંદેર જેવા વિસ્તારોને જોડતો હોવાથી, તે દરરોજ અપડાઉન કરતા લોકો માટે સૌથી ટૂંકા અંતરનો અને યોગ્ય રૂટ છે.

ઉકાઇ ડેમમાંથી પાણી છોડાતા કોઝવે બંધ કરાયો હતો

છેલ્લા 145 દિવસથી કોઝવે બંધ રહેવાના કારણે વાહનચાલકોને અન્ય લાંબા રસ્તે જવું પડતું હતું, જેના કારણે તેમણે રોજનું આશરે પાંચ કિલોમીટર જેટલું વધુ અંતર કાપવું પડતું હતું અને સમયનો પણ વ્યય થતો હતો.કોઝવે ખુલ્લો મુકાતા જ વાહનચાલકોમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ છે. આનાથી શહેરના આ ભાગમાં ટ્રાફિકનું ભારણ પણ ઘટશે અને સમય તેમજ ઇંધણની બચત થશે.

  • Follow us on: