સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી બદલાતી મોસમ અને પીવાના દૂષિત પાણીના પ્રશ્ને ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે.જેના કારણે શહેરમાં રોગચાળો બેકાબૂ બન્યો છે.શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ અસહ્ય કહેર મચાવ્યો છે.જેમાં માત્ર ટૂંકા સમયગાળામાં 8 વર્ષની એક માસૂમ વિદ્યાર્થીની સહિત કુલ ત્રણ લોકોનાં આકસ્મિક મોત નીપજતાં વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે.
સુરત શહેરમાં ડેન્ગ્યુ અને ટાઈફોઈડનો કહેર
મળતી માહિતી મુજબ,શહેરમાં ફેલાયેલી બિમારીઓની ઝપેટમાં આવવાથી જીવ ગુમાવનાર દર્દીઓમાં મુખ્યત્વે ડેન્ગ્યુ અને ટાઈફોઈડ જેવા ગંભીર રોગો સામે આવ્યા છે.હોસ્પિટલના સૂત્રો દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે કે મૃત્યુ પામેલા દરદીઓ પૈકી એક દર્દીનું ડેન્ગ્યુના ઉપદ્રવના કારણે જ્યારે અન્ય એક દર્દીનું ટાઈફોઈડની ગંભીર બિમારીના કારણે મૃત્યુ થયું છે.નાની વયે બાળકી સહિત ત્રણ વ્યક્તિઓનાં મોત થવાથી તેમના પરિવારજનોમાં શોકની કાળી ડિબાંગ છવાઈ ગઈ છે. શહેરમાં રોગચાળો વકરતાની સાથે જ નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલ ખાતે દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે.
મનપાનું આરોગ્ય તંત્ર એક્શન મોડમાં
ઓપીડી વિભાગમાં ઝાડા-ઉલટી, તાવ, કમળો અને ટાઈફોઈડ-ડેન્ગ્યુના લક્ષણો ધરાવતા દર્દીઓની સંખ્યામાં અણધારો વધારો થયો છે. બંને મોટી સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે.આરોગ્ય નિષ્ણાતોના અનુમાન મુજબ શહેરના કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની લાઈનોમાં ગટરનું પાણી ભળી જવાથી અથવા શુદ્ધ પાણીનો પૂરતો પુરવઠો ન મળવાના કારણે આ પ્રકારે ભયાનક બિમારીઓ ફેલાઈ રહી છે.પ્રદૂષિત પાણી અને મચ્છરોના ઉપદ્રવના કારણે માંદગીના ખાટલા ખડકાયા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર સફાળું દોડતું થઈ ગયું છે.
ફોગિંગ અને દવા છંટકાવની કામગીરી
મનપા દ્વારા રોગચાળાને કાબૂમાં લેવા માટે યુદ્ધના ધોરણે પગલાં ભરવાની શરૂઆત કરવામાં આવી છે.પ્રભાવિત વિસ્તારોમાં ક્લોરિનેશનની કામગીરી,પીવાના પાણીના સેમ્પલ ચકાસણી તેમજ મચ્છરોના ઉપદ્રવને નાથવા માટે ધુમાડો અને દવા છાંટવાની કામગીરી સઘન બનાવવામાં આવી છે. લોકોને ઉકાળેલું પાણી પીવા અને સાવચેતી રાખવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Ahmedabad News: સ્ટેમ્પ ડ્યુટી કેસમાં બેદરકારી સામે IAS બીજલ શાહની હાઈકોર્ટે ઝાટકણી કાઢી