પડોશી દેશ નેપાળમાં સર્જાયેલી ભારે તારાજી અને કુદરતી આફત વચ્ચે સુરત શહેરના એક જ પરિવારના ત્રણ સભ્યો લાપતા થતાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. મૂળ સુરતના પરેશભાઈ પટેલ, તેમના પુત્ર અને પુત્રવધૂ જ્યોતિબેન પટેલ 20 તારીખે યુએસએ (USA) થી નેપાળ ફરવા માટે આવ્યા હતા. ત્યારબાદ તેમની પુત્રી મીનાક્ષીબેન રામાણી પણ 22 તારીખે મુંબઈથી નેપાળ ખાતે પહોંચીને પરિવાર સાથે જોડાઈ હતી. તમામ સભ્યો એકસાથે માનસરોવર યાત્રા અને પ્રવાસે નીકળ્યા હતા, પરંતુ કુદરતી આફત બાદ તેમનો કોઈ સંપર્ક થઈ રહ્યો નથી.
23 તારીખે થઈ હતી છેલ્લી વાત
પરિવારના વૃદ્ધ માતા સાથે 23 તારીખે છેલ્લી વખત ટેલિફોનિક વાતચીત થઈ હતી. તે સમયે પરેશભાઈ અને પરિવારે જણાવ્યું હતું કે તેમનું ઇમિગ્રેશન થઈ ગયું છે અને તેઓ માનસરોવર તરફ આગળ વધી રહ્યા છે. આ છેલ્લી વાતચીત બાદથી જ પરિવારના ત્રણેય સભ્યોનો ફોન બંધ આવે છે અને સંપર્ક તૂટી ગયો છે. સંતાનો અને પરિવારજનો લાપતા થતાં વૃદ્ધ માતા ઘેરા આઘાતમાં સરી પડ્યા છે અને તેમણે રડતી આંખે સરકાર તેમજ વિદેશ મંત્રાલય પાસે પરિવારના સભ્યોને ઝડપથી શોધીને હેમખેમ પરત લાવવા માટે મદદની વિનંતી કરી છે.
