આગામી પવિત્ર રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ફૂડ સેફ્ટી ટીમ સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગઈ છે. તહેવારો દરમિયાન નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખોરાક મળી રહે તે હેતુથી આરોગ્ય વિભાગે શહેરના તમામ વિસ્તારોમાં મીઠાઈના વિક્રેતાઓ અને દુકાનો પર સઘન સરપ્રાઈઝ ચેકિંગ ઝુંબેશ હાથ ધરી છે, જેથી ભેળસેળયુક્ત કે વાસી મીઠાઈના વેચાણ પર રોક લગાવી શકાય.

શહેરના 9 ઝોનમાં દરોડા અને સેમ્પલિંગ 

ફૂડ સેફ્ટી વિભાગની વિવિધ ટીમો દ્વારા સુરત શહેરના તમામ 9 ઝોનમાં આવેલી મીઠાઈની નાની-મોટી દુકાનો અને ઉત્પાદન એકમો પર એકસાથે સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન અધિકારીઓએ સ્થળ પર જઈને મીઠાઈના બનાવટની સ્વચ્છતા ચકાસી હતી અને માવો, કંદોઈની મીઠાઈઓ તેમજ અન્ય વાનગીઓના અલગ-અલગ નમૂનાઓ (સેમ્પલ્સ) એકત્રિત કર્યા હતા.

લેબોરેટરી રિપોર્ટ બાદ કડક કાર્યવાહી કરાશે 

એકત્ર કરાયેલા મીઠાઈના નમૂનાઓને સીલ કરીને ત્વરિત ચકાસણી અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે. ફૂડ સેફ્ટી વિભાગના જણાવ્યા અનુસાર, લેબોરેટરીમાંથી સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ જો કોઈપણ મીઠાઈમાં ભેળસેળ કે અખાદ્ય સામગ્રી માલૂમ પડશે, તો સંબંધિત મીઠાઈ વિક્રેતા સામે કાયદાકીય જોગવાઈઓ હેઠળ કડકમાં કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો