સુરત શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓના અભ્યાસને બગડતો અટકાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.તાજેતરમાં ચોમાસા દરમિયાન પડેલા ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરતની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને વધારાની રજાઓ આપવામાં આવી હતી. આ શૈક્ષણિક નુકસાનની ભરપાઈ કરવા માટે હવે રવિવારના દિવસોમાં પણ શાળાઓ ચાલુ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે.
રજાના દિવસોનો ઉપયોગ કરવાનો રસ્તો અપનાવ્યો
દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરત શહેર અને જિલ્લામાં જુલાઈ અને ઓગસ્ટ મહિના દરમિયાન અનરાધાર વરસાદના કારણે 24,25 અને 31 જુલાઈ સહિત 1 ઓગસ્ટના રોજ વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને રાખીને કૂલ 4 દિવસની એક્સ્ટ્રા રજાઓ જાહેર કરવામાં આવી હતી.આ ચાર દિવસ દરમિયાન ખોરવાયેલા શિક્ષણના કાર્યને પૂર્ણ કરવા અને અભ્યાસક્રમ સમયસર પૂરો થાય તે હેતુથી શિક્ષણ સમિતિએ હવે રજાના દિવસોનો ઉપયોગ કરવાનો રસ્તો અપનાવ્યો છે.
