સુરત શહેરમાં વાહકજન્ય અને મોસમી રોગચાળાને અટકાવવા માટે સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયું છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તારીખ 21થી 24 ઓગસ્ટ દરમિયાન શહેરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં મચ્છરોના બ્રીડિંગ અંગે સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ચાર દિવસીય ઝુંબેશ દરમિયાન મનપાની ટીમે કુલ 711 જેટલી શાળા-કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓના પરિસરની સ્થળ પર જઈ ચકાસણી કરી હતી.
109 સ્થળોએ મચ્છરોના બ્રીડિંગ મળી આવ્યા
આશ્ચર્યજનક રીતે, સઘન તપાસ દરમિયાન 711 પૈકી 109 જેટલી શૈક્ષણિક સંસ્થાઓના પરિસરમાંથી મચ્છરોના ઉત્પત્તિ સ્થાન એટલે કે બ્રીડિંગ મળી આવ્યા હતા. વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડાં થાય તેવી આ ગંભીર બેદરકારી સામે મનપાએ લાલ આંખ કરી હતી. જળસંચયની ટાંકીઓ, કુંડાઓ અને પરિસરમાં ભરાયેલા પાણીમાં ડેન્ગ્યુ અને મેલેરિયા ફેલાવતા મચ્છરોના પોરા મળી આવતાં આરોગ્ય વિભાગે સ્થળ પર જ જંતુનાશક કામગીરી હાથ ધરી હતી.
