મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં વહેલી સવારથી શરૂ થયેલા ભારે વરસાદે પ્રચંડ સ્વરૂપ ધારણ કર્યું છે. મુંબઈમાં આભ ફાટવા જેવી સ્થિતિ સર્જાતા જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ ભારે વરસાદની સીધી અસર મુંબઈ અને ગુજરાત વચ્ચેના વાહનવ્યવહાર પર પડી છે, જેમાં ટ્રેન અને હવાઈ સેવાઓ બહુ મોટા પાયે ખોરવાઈ ગઈ છે.

રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ, ટ્રેનો અડધાથી એક કલાક મોડી

મુંબઈના નીચાણવાળા વિસ્તારો અને રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જવાના કારણે મુંબઈ-અમદાવાદ વચ્ચેનો રેલવે વ્યવહાર ગંભીર રીતે પ્રભાવિત થયો છે. મુંબઈ તરફ જતી અને ત્યાંથી આવતી મોટાભાગની ટ્રેનો અડધાથી એક કલાક જેટલી મોડી ચાલી રહી છે. ટ્રેનો મોડી પડવાના કારણે મુંબઈથી લઈને અમદાવાદ સુધીના તમામ મુખ્ય રેલવે સ્ટેશનો પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે.

સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોનું કીડિયારું ઉભરાયું

ટ્રેન વ્યવહાર ખોરવાતા દક્ષિણ ગુજરાતના સૌથી વ્યસ્ત એવા સુરત રેલવે સ્ટેશન પર સ્થિતિ કટોકટીભરી બની છે. સુરત સ્ટેશનના પ્લેટફોર્મ પર મુસાફરોનું કીડિયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. હજારો મુસાફરો કલાકોથી ટ્રેનની રાહ જોઈને પ્લેટફોર્મ પર બેસી રહેવા મજબૂર બન્યા છે. લાંબા સમયની પ્રતીક્ષા અને કોઈ ચોક્કસ માહિતી ન મળતા મુસાફરોમાં રેલવે પ્રશાસન સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

હવાઈ સેવાને પણ મોટી અસર: મુંબઈ જતી 3 ફ્લાઈટ્સ સુરત ડાયવર્ટ કરાઈ

ખરાબ હવામાન અને મુંબઈ એરપોર્ટ પર ભારે વરસાદના કારણે હવાઈ સેવાને પણ માઠી અસર પહોંચી છે. મુંબઈ લેન્ડિંગ કરી ન શકવાના કારણે અલગ-અલગ શહેરોમાંથી મુંબઈ જતી 3 મહત્વની ફ્લાઈટ્સને તાત્કાલિક સુરત એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી છે અને તેનું સુરતમાં સેફ લેન્ડિંગ કરાવાયું છે. દિલ્હીથી મુંબઈ જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઈટ સુરત ડાયવર્ટ કરાઈ છે. રાયપુરથી મુંબઈ જતી ઈન્ડિગોની ફ્લાઈટનું સુરતમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાયું છે. વારાણસીથી મુંબઈ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટને પણ સુરત તરફ વાળી દેવાઈ છે.

મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, અને જ્યાં સુધી મુંબઈમાં પાણી ઓસરશે નહીં ત્યાં સુધી ટ્રેન અને હવાઈ સેવા યથાવત થાય તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે.


આ પણ વાંચો - વાંચો 5 જુલાઈના રોજ બનનારી મહત્વની ઘટનાઓ વિશે