રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે સુરત મહાનગરપાલિકા અને જિલ્લાના ફૂડ વિભાગ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. સુરતના ઓલપાડ તાલુકાના સાયણ અને કીમ વિસ્તારમાં આવેલી વિવિધ મિઠાઈ અને ફરસાણની દુકાનોમાં ફૂડ વિભાગની ટીમો દ્વારા અચાનક સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
32 ખાદ્ય પદાર્થોના સેમ્પલની કરાઈ ઝીણવટભરી તપાસ
તહેવારોની સિઝનમાં મિઠાઈ અને ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ રોકવાના હેતુથી ફૂડ વિભાગની ટીમે અલગ-અલગ દુકાનો અને ડેરીઓમાંથી કુલ 32 ખાદ્ય પદાર્થોના સેમ્પલ લીધા હતા. આ તમામ સેમ્પલોની સ્થળ પર અને લેબોરેટરીમાં ગુણવત્તા તપાસવામાં આવી હતી.
3 કિલો પેંડા અને 5 લીટર અયોગ્ય તેલનો કરાયો નાશ
તપાસ દરમિયાન કેટલીક દુકાનોમાંથી આરોગ્ય માટે હાનિકારક અને વાસી જણાતા 3 કિલો પેંડા તેમજ ફરી ફરી ઉપયોગમાં લેવામાં આવેલું 5 લીટર બળેલું તેલ અયોગ્ય જણાતાં ફૂડ વિભાગે સ્થળ પર જ તેનો નાશ કરાવ્યો હતો. વેપારીઓને સ્વચ્છતા જાળવવા અને ગુણવત્તાયુક્ત સામગ્રી જ વેચવા કડક સૂચના આપવામાં આવી છે.

જનઆરોગ્યની જાળવણી માટે કાર્યવાહી ચાલુ રહેશે
તહેવારોના દિવસોમાં પ્રજાની શારીરિક સલામતી અને ખાદ્ય પદાર્થોની શુદ્ધતા તેમજ સ્વચ્છતા જળવાઈ રહે તે માટે ફૂડ વિભાગ દ્વારા આ પ્રકારની કાર્યવાહી અને સરપ્રાઈઝ ચેકિંગ આગામી દિવસોમાં પણ અવિરતપણે ચાલુ રાખવામાં આવશે.
આ પણ વાંચો - Surat: અમરોલીના 26.37 કિલો ગાંજા કેસમાં આરોપી બિરેન્દ્રકુમાર ગુપ્તાને 10 વર્ષની જેલ, 1 લાખ દંડ