સુરતના પોશ ગણાતા અડાજણ વિસ્તારમાં આવેલી પલમોનાઝ જ્વેલર્સ નામની શોરૂમમાં ચોરીનો મોટો બનાવ સામે આવ્યો છે. અડાજણના અત્યંત વ્યસ્ત એવા એલ.પી. સવાણી મેઈન રોડ પર આ શોરૂમ આવેલો છે, જ્યાં ચોરોએ ત્રાટકીને અંદાજે રૂપિયા 30 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી આચરી છે. મુખ્ય માર્ગ પર સતત વાહનોની અવરજવર હોવા છતાં આ પ્રકારે ચોરી થતાં સમગ્ર અડાજણ વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે.
શોરૂમના જ સંચાલક કે કર્મચારી પર આશંકા
પ્રાથમિક તપાસ અને સીસીટીવી ફૂટેજની ચકાસણી દરમિયાન આ ઘટના વહેલી સવારે 4થી 5 વાગ્યાના સમયગાળા દરમિયાન બની હોવાનું સામે આવ્યું છે. ચોરીની પદ્ધતિ અને સમયને જોતાં પોલીસને આશંકા છે કે આ ઘટનામાં શોરૂમ સાથે સંકળાયેલા કોઈ સંચાલક, કર્મચારી કે અંદરની માહિતી ધરાવનાર વ્યક્તિની જ સંડોવણી હોઈ શકે છે. જાણભેદુ સિવાય આટલા ટૂંક સમયમાં અને ધમધમતા રસ્તા પરથી સફળતાપૂર્વક માલસામાન ગાયબ કરવો મુશ્કેલ છે.
