સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલી 'સંત શ્રી રઘુવરદાસ અંગ્રેજી પ્રાથમિક શાળા' સામે શિક્ષણ વિભાગે લાલ આંખ કરીને તેની માન્યતા તાત્કાલિક અસરથી રદ કરી દીધી છે. તપાસ દરમિયાન ચોંકાવનારો પર્દાફાશ થયો હતો કે, શાળા મંડળ દ્વારા ધોરણ 1 થી 8 નું અંગ્રેજી માધ્યમ શરૂ કરવા માટે બનાવટી અને બોગસ દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા.
પાંડેસરાની રઘુવરદાસ શાળાની માન્યતા રદ
શાળાની મંજૂરીના સરકારી આદેશોમાં જે સમયગાળો દર્શાવવામાં આવ્યો હતો, તે સમયે જે-તે પદ પર ફરજ ન બજાવતા હોય તેવા અધિકારીઓના પણ ખોટા સહી-સિક્કા મળી આવ્યા હતા. કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સ્પષ્ટ થતાં શિક્ષણ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા શાળાની માન્યતા રદ કરવાનો આકરો નિર્ણય લેવામાં આવ્યો હતો.માનિયતા રદ થતાં જ શાળા મંડળ દ્વારા ખોટા દસ્તાવેજો રજૂ કર્યા હોવા છતાં આ નિર્ણય સામે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જોકે, કેસની ગંભીરતા ધ્યાને લઈને હાઇકોર્ટે શાળા મંડળને કોઈ પણ પ્રકારનો સ્ટે (મનોહુકમ) આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. અદાલતી રાહત ન મળતાં હવે વહીવટી તંત્ર દ્વારા કૌભાંડી શાળા મંડળ અને સંચાલકો સામે કડક ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
