સુરત શહેરમાં ખાડીપૂરના પાણી ઓસરવાની શરૂઆત થતાં જ રસ્તાઓ પર વાહનવ્યવહાર ધીમે ધીમે પૂર્વવત થઈ રહ્યો છે.ખાડીપૂરના કારણે શહેરમાં કુલ 22 જેટલા મુખ્ય રસ્તાઓ બંધ કરવા પડ્યા હતા.જેમાંથી પાણી ઓસરતાં 18 રસ્તાઓ વાહનવ્યવહાર માટે પુનઃ શરૂ કરી દેવામાં આવ્યા છે.હાલમાં માત્ર 6 રસ્તાઓ બંધ છે, જ્યાં પણ પાણીનું સ્તર ઝડપથી ઘટી રહ્યું છે.

બંધ થયેલા રસ્તા ફરી ધમધમશે

ઓલપાડ-કીમ સ્ટેટ હાઈવે,વડોલી પાસેનો મુખ્ય માર્ગ તેમજ કિમ નદીના પાણી ઓસરતાં ઓલપાડથી અંકલેશ્વર અને નેશનલ હાઈવેને જોડતો માર્ગ ફરી શરૂ થયો છે.જેનાથી સુરત અને ભરૂચ જિલ્લા વચ્ચેનો વાહનવ્યવહાર પૂર્વવત થતાં લોકોને મોટી રાહત મળી છે.પૂરમાંથી પાણી ઓસર્યા બાદ શહેરમાં ગંદકી અને કાદવ-કીચડનું સામ્રાજ્ય પથરાઈ જતાં રોગચાળો ન ફેલાય તે માટે સુરત મહાનગરપાલિકા (SMC)ની ટીમો કામે લાગી છે.SMC દ્વારા સફાઈ ઝુંબેશની સાથે સાથે વિવિધ વિસ્તારોમાં મેડિકલ વાન અને આરોગ્ય ટીમો તેનાત કરી દેવામાં આવી છે. 

લોકોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે

આ ટીમો દ્વારા પૂર પ્રભાવિત વિસ્તારોમાં ઘરે ઘરે જઈને લોકોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે અને જરૂરિયાતમંદ દર્દીઓને તાત્કાલિક ધોરણે જરૂરી દવાનો જથ્થો અને સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. આ રાહત કામગીરી વચ્ચે સુરત મનપાની નબળી કામગીરી અને પ્રી-મોન્સૂન કામગીરીની નિષ્ફળતા સામે આવી રહી છે. શહેરના લિંબાયત વિસ્તારમાં હજુ સુધી પાણી ન ઓસરતાં મનપાની સિસ્ટમ સંપૂર્ણપણે ફેલ સાબિત થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. લિંબાયતમાં રસ્તાઓ પર હજુ પણ વરસાદી પાણીની નદીઓ વહી રહી છે અને સતત પાણી ભરાયેલા રહેવાના કારણે સ્થાનિક રહીશો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, જેને લઈને લોકોમાં તંત્ર પ્રતી ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ Gujarat Rain News: રાજ્યમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય, ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગનું રેડ એલર્ટ