શહેરના ઔદ્યોગિક હબ ગણાતા સચિન GIDC વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારી અને શિરોવેદના કરાવતી ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં કાયદાનું જ્ઞાન ધરાવતા અને સમાજને ન્યાય અપાવતા વ્યવસાય સાથે જોડાયેલા એક વકીલે જ કાયદાના લીરેલીરા ઉડાડી દીધા છે. મળતી વિગતો અનુસાર, સચિન GIDC વિસ્તારમાં રહેતી એક શ્રમિક પરિવારની 13 વર્ષની માસૂમ દીકરીને પ્રણયરાજ રણવીર નામના 43 વર્ષીય વકીલે પોતાની જાળમાં ફસાવી હતી. વકીલે સગીરાના પરિવારની નબળી સ્થિતિનો લાભ ઉઠાવી તેને સારી નોકરી અપાવવાની અને આર્થિક મદદ કરવાની લાલચ આપી હતી.

સુરતમાં કાયદાનો રક્ષક જ બન્યો ભક્ષક

મદદ અને નોકરીના બહાને આ હેવાન વકીલે સગીરાને એકાંતમાં બોલાવી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. નરાધમ વકીલની હેવાનીયત આટલેથી જ ન અટકી, તેણે આ કૃત્ય આચરતી વખતે સગીરાનો પોતાના મોબાઈલ ફોનમાં વાંધાજનક વીડિયો પણ ઉતારી લીધો હતો, જેથી ભવિષ્યમાં તેને બ્લેકમેઈલ કરી શકાય. આ ગંભીર અકસ્માત અને આઘાતમાંથી બહાર આવ્યા બાદ, ગભરાયેલી સગીરાએ અંતે હિંમત એકઠી કરીને પોતાના માતા-પિતાને નરાધમ વકીલ પ્રણયરાજ રણવીરની તમામ કરતૂતો વિશે વિગતવાર વાત કરી હતી.

 13 વર્ષની માસૂમ દીકરીને વકીલે જાળમાં ફસાવી

પોતાની દીકરી પર થયેલા આ ભયાનક અત્યાચારની વાત સાંભળતા જ માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેઓ તાત્કાલિક સગીરાને લઈને સચિન GIDC પોલીસ મથકે પહોંચ્યા હતા અને નરાધમ વકીલ વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સગીરાની ઉંમર ધ્યાને રાખીને તુરંત જ પોક્સો એક્ટ અને દુષ્કર્મની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે પીડિતાને મેડિકલ ચેકઅપ માટે મોકલી આપી છે અને કાયદાનો દુરુપયોગ કરનાર નરાધમ વકીલ પ્રણયરાજ રણવીરને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી દરોડા શરૂ કર્યા છે.

આ પણ વાંચો: Ahmedabad: નેત્રોત્સવ પૂજન બાદ પરંપરાગત શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે જગન્નાથજીના નિજ મંદિરના શિખર પર નૂતન ધ્વજારોહણ કરાયું