દક્ષિણ ગુજરાતની પ્રસિદ્ધ સુમુલ ડેરી દ્વારા દૂધ ઉત્પાદકો અને પશુપાલકો માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુમુલ ડેરી તંત્ર દ્વારા દૂધના ભાવમાં કિલોફેટ દીઠ રૂ. 50 નો મોટો વધારો જાહેર કરવામાં આવ્યો છે, જેનાથી પશુપાલકોની આવકમાં વધારો થશે, પરંતુ બીજી તરફ સુમુલ ડેરી મારફતે પશુદાણના ભાવમાં પણ વધારો ઝીંકી દેવામાં આવતાં પશુપાલકો માટે એક તરફ રાહત અને બીજી તરફ આર્થિક બોજ જેવી 'કહી ખુશી કહી ગમ' વાળી સ્થિતિ સર્જાઈ છે.
પશુદાણના ભાવ વધતાં સ્થિતિ 'જૈસે થે' જેવી બની
સુમુલ ડેરીના પૂર્વ ડિરેક્ટર અને ખેડૂત નેતા જયેશ દેલાડે આ અંગે નિવેદન આપતાં જણાવ્યું હતું કે, દૂધના કિલોફેટમાં રૂ. 50 નો વધારો થવાથી પશુપાલકોને ચોક્કસપણે રાહત મળશે. જોકે, તેની સામે જ સુમુલ ડેરી દ્વારા પશુદાણના ભાવ પણ વધારી દેવામાં આવ્યા છે. પશુદાણનો ખર્ચ વધી જતાં પશુપાલકોને મળનારો વધારાનો નફો દાણ ખરીદવામાં જ વપરાઈ જશે, જેના કારણે પશુપાલકો માટે આર્થિક સ્થિતિ પુનઃ 'જૈસે થે' જેવી જ થઈ ગઈ છે.



