સુરત શહેરમાં વિઘ્નહર્તા દેવ ગણેશજીના વિસર્જન ઉત્સવને શાંતિપૂર્ણ અને સુચારુ રીતે સંપન્ન કરાવવા માટે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા એક વિસ્તૃત અને કડક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 25મી સપ્ટેમ્બરના રોજ સવારે 6:00 વાગ્યાથી જ રાજમાર્ગ સહિત શહેરના અતિમહત્વના 25 જેટલા મુખ્ય માર્ગો સામાન્ય વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
ડુમસ અને સુવાલી બીચ જનતા માટે બંધ
જાહેરનામા અનુસાર, શ્રીજીની તમામ મોટી મૂર્તિઓનું હજીરા, મગદલ્લા અને ડુમસ દરિયા કિનારે આવેલા 3 કુદરતી ઓવારા પર મોટી ક્રેનોની મદદથી સન્માનપૂર્વક વિસર્જન કરવામાં આવશે. સુરક્ષા અને વ્યવસ્થાના કારણોસર 25 અને 26 સપ્ટેમ્બર દરમિયાન ડુમસ બીચ તેમજ સુવાલી બીચ સામાન્ય જનતા અને પ્રવાસીઓ માટે સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. આ ઉપરાંત, ડુમસ રૂટ પર વિસર્જન યાત્રાઓનો ભારે ધસારો રહેવાનો હોવાથી એરપોર્ટ જઈ ફ્લાઈટ પકડનારા મુસાફરોને સમયસર પહોંચવા માટે ઘરેથી ઓછામાં ઓછા 3 કલાક વહેલા નીકળવા ખાસ તાકીદ કરવામાં આવી છે.
