શેર ટ્રેડિંગના વ્યવસાય સાથે સંકળાયેલી જૈનમ બ્રોકિંગ પર ઇન્ક્મટેક્સ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. તેમાં અમૃતસરની ટીમની સાથે સુરત આઇટીના પણ અધિકારીઓએ શહેરમાં જૈનમ બ્રોકિંગના નામે કાર્યરત પાંચ જેટલા સ્થળો પર કાર્યવાહી કરી છે.
શેર બજારમાં રોકાણ કરવાના નામે લોકોને લોભામણી સ્કીમ આપીને અંદાજીત 100 કરોડથી વધુ રકમ લોકો પાસેથી લીધી હતી. ત્યાર બાદ લોકોએ આપેલી સ્કીમ પ્રમાણે નાણાંની ચુકવણી કરવામાં નહીં આવવાના કારણે ભારે હોબાળો મચ્યો હતો. તેમાં આ રીતે લોભામણી સ્કીમ આપનાર પહેલા જૈનમ બ્રોકિંગમાં જ કામ કરતો હતો. પરંતુ ત્યારબાદ તેને છુટો કરી દેવામાં આવ્યો હોવાની વાતો કરવામાં આવી હતી. જોકે ભોગ બનનારાઓ દ્વારા જૈનમમાં જ રોકાણ કરવામાં આવી રહ્યાની વાત કરી હતી. ત્યાર બાદ સમગ્ર પ્રકરણમાં ગુનો પણ દાખલ કરાયો હતો. ઓગસ્ટ માસમાં થયેલી આ કાર્યવાહીમાં હવે ઇન્કમટેક્સ વિભાગને પણ જૈનમ બ્રોકિંગ દ્વારા ગ્રાહકોના પુરતા પુરાવા લીધા વિના તેઓના નામે રોકાણ કરવામાં આવી રહ્યા હોવાની વિગતો જાણવા મળી હતી. જેથી ટેક્સની મોટાપાયે ચોરી કરવામાં આવી રહી હોવાની આશંકાના આધારે આજે સુરત શહેરમાં પાંચ સ્થળો પર તપાસ કરી હતી.આ તપાસ અમૃતસરની ટીમની સાથે સુરત આઇટીના પણ અધિકારીઓ જોડાયા હોવાની વિગતો જાણવા મળી છે. જોકે આ તમામ બાબતો અંગે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સત્તાવાર રીતે કોઇ પણ વાતનું સમર્થન અ5ાયું નથી. પરંતુ શેર ટ્રેડિંગ સાથે જોડાયેલા લોકો દ્વારા હેજિંગ કરવાની સાથે સાથે સેબીના નિયમ પ્રમાણે કેવાયસીની પણ વિગતો રજૂ કરવામાં અખાડા કરવામાં આવી રહ્યા હતા. તેમાં મોટાપાયા પર નાણાકીય હેરફેર કરવામાં આવી રહી હતી. તેમજ નિયમ પ્રમાણે ટેક્સ ભરપાઇ કરાતો નહીં હોવાના લીધે આઇટી ટીમ દ્વારા કેટલા ગ્રાહકો છે. તેઓના બેંક ખાતા સહિતની વિગતો હાલ તો એકત્ર કરવામાં આવી રહી છે.










