સુરત જિલ્લાના કામરેજ ચાર રસ્તા જેવા ધમધમતા વેપારી વિસ્તારમાં આવેલી એક આંગડિયા પેઢીનો સંચાલક રાતોરાત ઓફિસને તાળા મારીને ફરાર થઈ જતાં મોટો ખળભળાટ મચી ગયો છે. રોજના લાખો રૂપિયાના વહીવટ કરતી આ આંગડિયા પેઢી દ્વારા લોકો અને વેપારીઓ દ્વારા મોકલવામાં આવેલા પૈસા જે-તે સ્થળે કે વ્યક્તિ સુધી ન પહોંચતાં સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો. આંગડિયા પેઢી બંધ હોવાની જાણ થતાં જ પોતાના નાણાં મોકલનાર ગ્રાહકો ઓફિસે દોડી આવ્યા હતા, પરંતુ દરવાજે તાળાં લટકતાં જોઈને નિરાશ થઈને પરત ફરવાનો વારો આવ્યો હતો.
ગ્રાહકોના લાખો રૂપિયા ફસાયા હોવાની આશંકા
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પેઢી મારફતે વેપારીઓ અને સામાન્ય લોકોએ પોતાના સગા-સંબંધીઓ તથા વેપારી ભાગીદારોને લાખો રૂપિયાની રોકડ રકમ મોકલી હતી. પરંતુ છેલ્લા બે-ત્રણ દિવસથી આ નાણાં નિર્ધારિત સ્થળે ન પહોંચતાં અને સંચાલકના તમામ સંપર્ક નંબરો બંધ આવતાં લોકોમાં ભારે રોષ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આ કૌભાંડમાં અનેક લોકોના લાખો રૂપિયા સલવાયા હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે.
