અમદાવાદમાં મણિનગર વિસ્તારની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા થઈ. સેવન્થ ડે સ્કૂલની ઘટનાના સુરતમાં પડઘા પડ્યા. સુરત DEO એક્શનમાં આવ્યું. વિદ્યાર્થીઓની સુરક્ષા બાબતે જરૂરી પગલા લેવા પડશે જેને લઈને DEOએ શિસ્ત સમિતિની રચના કરવાનો શાળાઓને આદેશ આપ્યો છે. DEO કચેરીથી શહેર-જિલ્લાની સરકારી, ગ્રાન્ટેડ સ્કૂલોને વિદ્યાર્થીઓની સલામતી-સુરક્ષા અંગે સમિતિ રચવા આદેશ કરાયો છે.


વિદ્યાર્થીની હત્યાને પગલે વિરોધ પ્રદર્શન

સેવન્થ ડે સ્કૂલમાં શાળાના સમયમાં ધોરણ-8ના વિદ્યાર્થીએ સામાન્ય બબાલમાં ધોરણ-10ના વિદ્યાર્થી પર ઘાતકી હુમલો કર્યો. ગંભીર ઇજાને પગલે વિદ્યાર્થીનું મોત થયું. વિદ્યાર્થીની હત્યા થતા વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ અને વાલીઓ તેમજ NSUIના કાર્યકરો દ્વારા શાળા સામે ન્યાયની માગ સાથે વિરોધ પ્રદર્શન કરતા બંધનું એલાન આપ્યું હતું. અને અમદાવાદની 200થી વધુ શાળાઓ બંધમાં જોડાઈ હતી. વાલીઓએ શાળાના પ્રિન્સીપાલ અને શિક્ષકોને આડેહાથ લેતા મામલો વધુ ગરમાયો હતો હાલમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

વિદ્યાર્થીની હત્યાનો રાજ્યભરમાં ઉહાપોહ

શાળાના કેમ્પસની અંદર વિદ્યાર્થીની હત્યાએ રાજ્યભરમાં ઉહાપોહ મચાવ્યો છે. શાળામાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને સવાલો ઉઠ્વા લાગ્યા છે. વિદ્યાર્થીનું મોત થતા મણિનગર, કાંકરિયા, ઇસનપુરની શાળાઓ અને વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડયો. ધોરણ-10ના વિદ્યાર્થીની હત્યા કરનાર ધોરણ-8ના વિદ્યાર્થીની મોડી રાત્રે ધરપકડ થઈ ગઈ છે. જો કે વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને આ મામલો આગામી દિવસોમાં વધુ જોર પકડે તેવી સંભાવના છે.

  • Follow us on: